ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી

June 01, 2023

મુંબઈ : IPL દરમિયાન ઈજાગ્રસ્ત મહેન્દ્રસિંહ ધોનીની ગુરુવારે ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સને 5મી વખત IPL ખિતાબ જિતાડનાર ધોની ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા.

CSKના સીઈઓ કાશી વિશ્વનાથે ધોનીને આગામી સિઝનની મિની ઓક્શનમાંથી મુક્ત કરવા પર કહ્યું, 'સાચું કહું તો અમે હજુ સુધી વિચાર્યું નથી. તે ધોની પર નિર્ભર કરે છે કે તે આગળ શું નિર્ણય લેશે.

ધોનીને IPLની ગુજરાત સામેની પહેલી જ મેચમાં ઈજા થઈ હતી. ગુજરાતની ઈનિંગની 19મી ઓવરમાં ધોનીએ દીપક ચહરના બોલને રોકવા માટે ડાઈવ લગાવી હતી, જેના પછી ધોનીને કળ વળી ગઈ હતી. તેણે તરત જ તેનો પગ પકડી લીધો. કોઈક રીતે તે ઊભા થયા. ધોની થોડા સમય માટે પરેશાન જોવા મળ્યા હતા. તે પછી તેણે વિકેટ કીપિંગ ચાલુ રાખ્યું.

મેચ બાદ CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજા અંગે અપડેટ આપી હતી. ફ્લેમિંગે કહ્યું કે ટુર્નામેન્ટ પહેલાં ધોનીને ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો હતો. તે પછી ધોની પછીની મેચોમાં ડાબા ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ઘૂંટણની ઈજાને કારણે તે મોટાભાગની મેચોમાં બેટિંગ કરવા માટે પણ ઓર્ડરથી નીચે ઊતર્યા હતા. પિચ પર પણ તે દોડવા અને રન લેવાને બદલે મોટા શોટ રમતા વધુ જોવા મળ્યા હતા. ધોનીએ આઈપીએલ સિઝનની મધ્યમાં પણ કહ્યું હતું કે તે વધુ રન કરી શકતો નથી. એટલા માટે તે ઓર્ડરથી નીચે આવે છે અને મોટા શોટ રમવાનો પ્રયાસ કરે છે.