અનાજની ખરીદી ન કરાતાં ખેડૂતો ભડક્યાં, ધારાસભ્ય-મંત્રીઓના ઘર ઘેર્યા, ટ્રેનો અટકાવી કર્યા દેખાવ

October 19, 2024

પંજાબમાં અનાજની ખરીદી ન થવાના કારણે શુક્રવારે ભારતીય કિસાન યુનિયને (એકતા ઉગરાંહા) કેબિનેટ મંત્રી, ધારાસભ્ય અને ભાજપના નેતાઓના ઘર અને કાર્યાલયોનો ઘેરાવ કર્યો હતો. કપૂરથલા જિલ્લાના સુલ્તાનપુર લોધીમાં ખેડૂતોએ સોમનાથ એક્સપ્રેસને રોકીને રેલવે ટ્રેક પર દેખાવ કર્યો હતો. આ સિવાય, બઠિંગા, અમૃતસર સહિત ઘણાં જિલ્લામાં ખેડૂતોએ બે દિવસથી ટોલ પ્લાઝા પણ ફ્રી કરાવી દીધાં છે. શુક્રવારે (18 ઓક્ટોબર) સંરરૂર જિલ્લાના સુનામમાં કેબિનેટ મંત્રી અમન અરોરાના આવાસ તથા દિડબા બેઠકથી ચૂંટાયેલા નાણાંમંત્રી હરપાલ ચીમા તેમજ લહરાગાગામાં કેબિનેટ મંત્રી બરિંદર ગોયલની ઓફિસ સામે ધરણા કર્યા હતાં.  મુક્તસર જિલ્લાના ગામ ખુડ્ડિયાંમાં કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુડ્ડિયા, પટિયાલામાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. બલબીર સિંહ, બઠિંડામાં શહેરી, ભુચ્ચો, મૌડ, તલવંડી સાબો તેમજ રામપુરાફૂલ બેઠકના ધારાસભ્યોના ઘરની સામે ધરણા કર્યાં હતાં. આ સિવાય સંગરુરમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ ખન્ના તેમજ રામપુરાફૂલમાં ભાજપ નેતા જગદીપ સિંહ નકઈના ઘરની બહાર દેખાવ કર્યો હતો. ખેડૂતોએ 20 ઓક્ટોબર લાડોવાલ ટોલ પ્લાઝા પણ ફ્રી કરી દેવાની ચેતવણી આપી છે. તેમ છતાં જો પ્રશાસન કોઈ પગલાં નહીં લે તો 21 ઓક્ટોબરે રસ્તા જામ કરવાની પણ ચેતવણી આપી છે.  અનાજની ખરીદી ન થવા અને મંડીમાંથી લિફ્ટિંગ ન થવાના કારણે મુખ્યમંત્રી ભગવંત માનના આવાસનો ઘેરાવ કરવા પહોંચવાના હતાં. જોકે, ચંદીગઢ પોલીસે કિસાન ભવનમાં જ તેમનો ઘેરાવ કરી રોકી દીધા હતાં. ખેડૂતોએ ઘણીવાર કિસાન ભવનમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ, કડક સુરક્ષા વ્યવસ્થાની સામે ખેડૂતો ટકી ન શક્યાં. પોલીસે એક પ્રકારે ખેડૂતોની કિસાન ભવનમાં જ અટકાયત કરી હતી. મોડી સાંજે ખેડૂતોએ કિસાન ભવન પર જ ક્રમિક ધરણાંનું એલાન કર્યું હતું. આ દરમિયાન સચિવે ખેડૂત નેતાઓને શનિવારે સાંજે મુખ્યમંત્રી સાથે બેઠક માટે આમંત્રિત કર્યા હતાં. સંયુક્ત કિસાન મોરચાએ અનાજની ખરીદ, લિફ્ટિંગ અને સેલરો પાસેથી ડાંગર ઉપાડવાની માગને લઈને મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. વળી, બીજી બાજું મુખ્યમંત્રી ભગવંત માન ખેડૂતોના પક્ષમાં આવ્યા હતાં. ભગવંત માને કહ્યું કે, પંજાબના ખેડૂતો પરાલી સળગાવવા નથી ઈચ્છતાં, ખેડૂતો અનાજની ખેતી પણ નથી કરવા ઈચ્છતાં, પરંતુ વૈકલ્પિક પાક પર એમએસપી ઉપલબ્ધ નથી.