CM યોગી સાથે RSSની અઢી કલાક બંધબારણે બેઠકથી યુપીના રાજકારણમાં ગરમાવો!

March 06, 2026

પટના : બિહારમાં 10 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતીશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયે આખા દેશના રાજકારણમાં ખળભળાટ મચી ચુક્યો છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ટોચના પદાધિકારીઓ સાથે અઢી કલાક સુધી લાંબી ચર્ચા કરી છે.


ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પ્લેન હિંડન એરબેઝ પર લેન્ડ થયું હતું, ત્યારબાદ તેમનો કાફલો સીધો નેહરુ નગર સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પહોંચ્યો હતો. અહીં તેમણે મેરઠ પ્રાંતના સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ બેઠકનો મુખ્ય હેતુ સરકાર અને સંઘ વચ્ચે સમન્વય સાધવાનો હતો. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘના પદાધિકારીઓ સાથે રણનીતિ ઘડવામાં આવી હતી. સીએમ યોગીએ સરકારના કામકાજ અંગે સંઘ પાસેથી ગ્રાઉન્ડ લેવલનું ફીડબેક મેળવ્યું હતું. સંઘના સભ્યોએ સરકારી હોસ્પિટલો અને શાળાઓમાં માળખાગત સુવિધાઓ સુધારવા તેમજ માનવ સંસાધન વધારવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં માત્ર વિકાસની જ નહીં, પણ વહીવટી ખામીઓની પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસ સ્ટેશનોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનો મુદ્દો સંઘના પદાધિકારીઓએ ઉઠાવ્યો હતો. વર્તમાન કામોની સાથે ભવિષ્યના રોડમેપ પર પણ સંઘે સરકારને અનેક સૂચનો આપ્યા હતા. 

આ મહત્વની બેઠકમાં સંઘના અંદાજે 40 જેટલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની સાથે યુપી ભાજપ પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી, સંગઠન મંત્રી ધર્મપાલ સિંહ, ક્ષેત્ર સંઘચાલક સૂર્યપ્રકાશ ટોંક અને અન્ય દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા. બેઠક બાદ મુખ્યમંત્રીએ સંઘના હોદ્દેદારો સાથે ભોજન પણ લીધું હતું.