અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી

February 04, 2026

ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. જેની સીધી અસર હવે હવાઈ વ્યવહાર પર જોવા મળી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ શિડ્યુલ ખોરવાયું હતું. વિઝિબિલિટી (દ્રશ્યતા) અત્યંત ઓછી હોવાના કારણે કુલ 15 જેટલી ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી હતી. જેના પરિણામે સેંકડો મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા. વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. દ્રશ્યતાનું સ્તર ઘટી જતાં પાયલોટોને રનવે પર ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. સુરક્ષાના કારણોસર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા ફ્લાઇટ્સને રોકી રાખવામાં આવી હતી. આ અચાનક આવેલા વિલંબને કારણે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ કેટલાક પ્રવાસીઓએ એરલાઇન્સના મેનેજમેન્ટ સામે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો.
એરલાઇન્સની એડવાઇઝરી અને મુસાફરોને ચેતવણી
* પરિસ્થિતિની ગંભીરતાને જોતા ઈન્ડિગો અને એર ઈન્ડિયા જેવી મુખ્ય એરલાઇન્સે સોશિયલ મીડિયા અને સત્તાવાર નિવેદનો દ્વારા એડવાઇઝરી જાહેર કરી છે:
* ઈન્ડિગો: એરલાઇન્સે જણાવ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની અસર અમદાવાદની ફ્લાઇટ્સ પર પણ પડી છે. દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ થવાની પણ શક્યતા છે.
* એર ઈન્ડિયા: મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ આવવા માટે ઘરેથી નીકળતા પહેલા તેમની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ઓનલાઇન ચેક કરી લે.
* ટ્રાફિક એલર્ટ: ધુમ્મસના કારણે માર્ગ વ્યવહાર પણ ધીમો હોવાથી મુસાફરોને સમય કરતાં વહેલા એરપોર્ટ પહોંચવા સૂચના અપાઈ છે.
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ દિલ્હી, જયપુર અને લખનૌ જેવા શહેરોમાં પણ ખરાબ હવામાન હોવાથી ત્યાંથી આવતી ફ્લાઇટ્સ લેટ પડી રહી છે. આના કારણે જે મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઇટ્સ હતી, તેઓને વધુ મુશ્કેલી પડી રહી છે. મુસાફરો માટે આ સ્થિતિ માનસિક અને શારીરિક રીતે થકવી દેનારી સાબિત થઈ રહી છે.