સરકાર જવાબદારી નક્કી કરે અને વળતર આપે: ખડગેની માગણી

June 14, 2025

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 જૂને ક્રેશ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, કર્ણાટના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. કોંગ્રેસ નેતાઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી છે અને આ દુઃખ સમયમાં મૃતકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ખડગેએ કેન્દ્ર સરકારને દુર્ઘટના મામલે જવાબદારી નક્કી કરવા તેમજ પીડિતના પરિવારને વળતર આપવાની માંગ કરી છે.


ખડગેએ દુર્ઘટના સ્થળ અને હોસ્પિટલમાં પીડિતો સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જ્યારે પત્રકારોએ ખડગેને યાદ અપાવ્યું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા વળતરની કોઈ જાહેરાત કરાઈ નથી. તો તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે વિમાન દુર્ઘટના મામલે જવાબદારી નક્કી કરવી જોઈએ અને પીડિતોના પરિવારને વળતર આપવું જોઈએ. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને યોગ્ય વળતર આપવું જોઈએ.’