અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 40 લોકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત

December 06, 2025

અમદાવાદ : અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સામાજિક પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા અંદાજે 35-40 જેટલા લોકો બીમાર પડ્યા હતા, જ્યારે દુર્ભાગ્યવશ એક યુવકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં એક પરિવાર દ્વારા નવા ઘરના પ્રસંગે લઇને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં અન્ય વાનગીઓની સાથે 'ગાજરનો હલવો' પણ પીરસવામાં આવ્યો હતો. જમણવાર પત્યા બાદ મોડી રાત્રે અચાનક મહેમાનોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદો શરૂ થઈ હતી.

ગાજરનો હલવો ખાધા બાદ એક પછી એક એમ કુલ 35થી 40 જેટલા લોકોની તબિયત લથડી હતી. સ્થિતિ વણસતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું, જેના કારણે પ્રસંગની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી.