જો પાણી અટકાવ્યું તો 130 પરમાણુ બોમ્બ તૈયાર છે - પાક. રેલવેમંત્રી

April 27, 2025

પહલગામ : પહલગામ આતંકવાદી હુમલામાં ભારતના 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને ત્યાંના પીએમ સહિત તેના ઘણા નેતાઓ દરરોજ અકળાઈને બેફામ નિવેદનબાજી કરવા લાગ્યા છે. 


ગઇકાલે પીએમ શાહબાઝ શરીફ, પીપીપી નેતા બિલાવલ ભુટ્ટો પછી હવે આજે પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રાવલપિંડીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેણે કહ્યું કે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકશે તો અમે યોગ્ય જવાબ આપીશું. પ્રેસ કોન્ફરન્સમાં કડક વલણ અપનાવતા હનીફ અબ્બાસીએ કહ્યું, ' અમારી તમામ મિસાઇલો હવે ભારત તરફ તહેનાત કરી દેવાઈ છે, જો ભારત કોઈપણ પ્રકારનું દુ:સ્સાહસ કરશે તો તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.' અબ્બાસીએ ધમકી આપતા કહ્યું કે અમારી પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે અને અમે ગોરી, શાહીન, ગઝનવી જેવી મિસાઇલો અને 130 પરમાણુ બોમ્બ ફક્ત ભારત માટે જ તૈયાર રાખ્યા છે. 


તેણે વધુમાં કહ્યું કે અમે રાજદ્વારી પ્રયાસોની સાથે અમારી સરહદોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી છે. પહલગામ હુમલો ફક્ત એક બહાનું છે, વાસ્તવમાં સિંધુ જળ સંધિ ભારતના રડાર પર છે. હનીફે કહ્યું કે, પાકિસ્તાન રેલ્વે હંમેશા તેની સેનાને મદદ કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે હનીફ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પહલગામમાં નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરનારા લશ્કરના આતંકવાદીઓને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા.