પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂમ! કહ્યું સિસ્ટમ નિષ્ફળ ગઈ છે

May 29, 2026

સુપ્રીમ કોર્ટે મોનિટરિંગ સિસ્ટમ સામે ઉઠાવ્યા સવાલ


દિલ્હી- સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET-UG પેપર લીક વિવાદ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને આકરા સવાલો કર્યા છે. કોર્ટે તીખી ટિપ્પણી કરતાં પૂછ્યું કે, દેશમાં આટલી મોટી દેખરેખ પદ્ધતિઓ અને ઓવરસાઇટ કમિટીઓ હોવા છતાં આટલી મોટી સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ? આ સુનાવણી દરમિયાન NTA અને સમિતિ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. NEET-UG પરીક્ષા રદ કરવા અને પેપર લીક મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને સત્તાવાર રીતે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સમગ્ર મામલા અને લીકની તપાસ પ્રક્રિયા પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે સરકાર પાસે એક એફિડેવિટ (સોગંદનામા) દ્વારા પેપર લીકની તપાસની પ્રક્રિયા અને તેની પૂર્ણ કઈ રીતે અને કઈ પદ્ધતિથી કરવામાં આવશે તેની વિગતવાર માહિતી આપતો જવાબ માંગ્યો હતો, જેના પગલે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.

લાઈવ લોના અહેવાલ મુજબ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, "વડાપ્રધાન પોતે વ્યક્તિગત રીતે આની દેખરેખ રાખી રહ્યા છે. સમગ્ર મામલે સતત અપડેટ લઇ રહ્યા છે." જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની બેન્ચે ઇસરો(ISRO)ના પૂર્વ ચેરમેન ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની કમિટીની કામગીરીની સમીક્ષા કરી હતી. જસ્ટિસ નરસિમ્હાએ સવાલ કર્યો કે ડૉ. રાધાકૃષ્ણન પહેલા હાઇ-પાવર્ડ કમિટીનો ભાગ હતા અને બાદમાં તેમને મોનિટરિંગ કમિટીમાં નિયુક્ત કરાયા, તો પછી ભલામણોના અમલીકરણનું વાસ્તવિક મોનિટરિંગ કેટલું થયું? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "જો આટલી દેખરેખ અને મોનિટરિંગ હોવા છતાં પણ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે, તો તેનો સીધો અર્થ એ છે કે મોનિટરિંગની પ્રક્રિયામાં જ કોઈ મોટી ખામી રહી ગઈ છે".