શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે આવ્યાં

June 05, 2025

બેંગ્લુરુ : 18 વર્ષમાં પહેલી વાર RCB એ IPL ટ્રોફી જીતી તેની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ખૂબ જ મોટી હતી અને તેમનો ઉત્સાહ તેનાથી પણ વધુ હતો. ન તો ભીડ કાબુમાં હતી, ન તો તેમનો જુસ્સો અને ગાંડપણ. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે સ્ટેડિયમના ગેટ નંબર 7 પર અફવા ફેલાઈ હતી કે ત્યાં ફ્રી પાસ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે એટલી અરાજકતા ફેલાઈ ગઈ કે 11 લોકો કચડાઈને મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ થયા તેમા પણ અનેકની હાલત ગંભીર છે. 

ત્યાં હાજર લોકોના મતે, આ અફવાને કારણે ગણતરીની મિનિટોમાં, મુખ્ય ગેટ પર એટલી ભીડ એકઠી થઈ ગઈ કે જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ. RCBની IPLમાં પ્રથમ જીતની ઉજવણી કરવા માટે હજારોની સંખ્યામાં ચાહકો ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ લોકો ફ્રી પાસ માટે પાગલોની જેમ એકબીજા પર તૂટી પડ્યા, અને ત્યાંની વ્યવસ્થા અવ્યવસ્થામાં બદલાઈ ગઈ.

તેમજ દર્શકોએ RCB વેબસાઇટ પરથી પાસ લેવાના હતા. પરંતુ તે ક્રેશ થઈ ગઈ હતી. તેમજ લોકો પાસ વગર પણ સ્ટેડિયમ પહોંચી ગયા હતા એવામાં આ ફ્રી પાસની અફવાના કારણે નાસભાગ થઈ. 

ભીડને કારણે ગટરનો સ્લેબ તૂટી પડ્યો. ભીડે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગેટ નંબર 12, 13 અને 10 તોડવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ બપોરે અચાનક ભીડ વધી ગઈ. જેના કારણે સ્ટેડિયમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. આથી જેમની પાસે પાસ હતા તેઓ પણ સ્ટેડિયમમાં પ્રવેશી શક્યા ન હતા. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભીડ કાબુ બહાર હતી, અમે બળ તૈનાત કર્યું હતું પરંતુ આ વ્યવસ્થા અપૂરતી હતી. 1 કિલોમીટરની ત્રિજ્યામાં 50,000 લોકો એકઠા થયા હતા. ઘણા લોકોએ ગેટ તોડવાનો પ્રયાસ કર્યો. આથી પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તેમજ સ્ટેડિયમના દરવાજા સાંકડા હતા આથી ભીડના દબાણને કારણે અકસ્માત થયો.