79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલાવવાની કિટ NID અમદાવાદમાં તૈયાર કરાઈ

August 13, 2025

દેશના ૭૯મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મહેમાનોને મોકલવામાં આવનારા આમંત્રણ માટેની કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી) અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. એન.આઈ.ડી. અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે આ ઘટનાને સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત ગણાવી હતી.

આ અંગેની વિગતો આપતાં તેમણે કહ્યું કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવનારા ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રતિષ્ઠિત મહેમાનોને આમંત્રણ મોકલવા માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એન.આઈ.ડી. અમદાવાદને આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

જેની થીમ પૂર્વી ભારતના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાની નિયત કરવામાં આવી હતી. પરિણામે, ચારેક મહિનાની મહેનત અને અત્યંત ઝીણવટભર્યા સંશોધનો બાદ બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળની સમૃદ્ધ પરંપરાગત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી કલાકૃતિઓ સમાવિષ્ટ કરવામાં આવી હતી.