ખામેનેઈના મૃત્યુથી લખનઉથી શ્રીનગર સુધી વિરોધ-પ્રદર્શનો

March 03, 2026

અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યાથી ભારતમાં શિયા સમુદાયમાં ખૂબ જ ગુસ્સો છે. ભારતમાં લખનઉ, કાશ્મીર, રાજસ્થાન અને હૈદરાબાદમાં ખામેનેઈના મોતના વિરોધમાં શિયા સમુદાયના લોકોએ રસ્તા પર ઊતરીને પ્રદર્શન કર્યું હતું. ઑલ ઇન્ડિયા શિયા પર્સનલ લૉ બોર્ડે ૩ દિવસના શોકની જાહેરાત કરી હતી.

આ મુદ્દે શિયા ધાર્મિક નેતા મૌલાના યાસુબ અબ્બાસે શિયા સમુદાયને અપીલ કરતાં કહ્યું હતું કે ‘આપણે બધાએ ખામેનેઈની હત્યાના વિરોધમાં ૩ દિવસ કાળાં કપડાં પહેરવાં જોઈએ. આપણે આપણાં ઘરો પર કાળાં બૅનરો લગાવવાં જોઈએ. આપણે ફાતિહા વાંચવી જોઈએ અને ઈરાનના સર્વોચ્ચ નેતાની નઝર અદા કરવી જોઈએ. આપણે અમેરિકા અને ઇઝરાયલનાં પગલાંનો પણ સખત વિરોધ કરવો જોઈએ.’

ખામેનેઈની હત્યાના વિરોધમાં ગઈ કાલે ચોકમાં એકઠા થયેલા વિશાળ ટોળા સાથે વેપારીઓ પણ જોડાયા હતા. દરગાહ-હઝરત અબ્બાસ રોડ સહિત અનેક શેરીઓ સૂમસામ રહી હતી, દુકાનદારોએ તેમની દુકાનો ખોલી નહોતી, કરિયાણું ખરીદવા આવેલા લોકોએ પાછા ફરવું પડ્યું હતું.

આસિફી મસ્જિદના જુમા ઇમામ મૌલાના કલ્બે જાવદે કહ્યું હતું કે ‘ખામેનેઈની હત્યા માનવતાની હત્યા હતી. લોકોએ એની સામે સંગઠિત થવું જોઈએ. દેશભરના મુસ્લિમ સમુદાયના સભ્યોએ સાથે મળીને વિરોધ કરવો જોઈએ. અન્ય માનવતાવાદીઓએ પણ એમાં જોડાવું જોઈએ.’