લાલુએ તેજસ્વીને સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા, મહાગઠબંધનમાં હલચલ

June 20, 2025

પટના ઃ RJD સુપ્રીમો લાલુ પ્રસાદે દીપ પ્રજ્જવલિત કરીને ગુરૂવારે પાર્ટીના રાજ્ય પરિષદની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. લાલુ યાદવે પાર્ટીના લોકોને કહ્યું કે, રાહ જોવાની જરૂર નથી. ગરીબ-દલિત અને આરજેડી માટે કામ કરનારાને જ ટિકિટ આપવામાં આવશે. આ સાથે લાલુ પ્રસાદ યાદવે એક મોટું એલાન કરી દીધું હતું જેને લઇને મહાગઠબંધનના સાથીઓમાં હલચલ મચી ગઇ હતી. કોંગ્રેસને ખાસ આ  જાહેરાતથી વિચારવાની ફરજ પડી છે કારણ કે હજુ તો મહાગઠબંધનના સાથીઓ વચ્ચે બેઠક વહેંચણીની ફાઈનલ જાહેરાત પણ થઈ નથી.  


લાલુએ તેજસ્વી યાદવને જ મહાગઠબંધન વતી સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. લાલુ પ્રસાદ યાદવે આ બેઠકમાં કહ્યું કે,તેજસ્વી યાદવ દિવસ-રાત પરિશ્રમ કરીને પાર્ટીને આગળ વધારી રહ્યા છે તે માટે આભાર. કોઈ ભલે ગમે તેટલી ટીકા કરે, મુખ્યમંત્રી પદના એકમાત્ર દાવેદાર તેજસ્વી જ છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નીતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારને દૂર કરીને કોઈપણ કિંમતે તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાનો છે. ગરીબ-વંચિત, લઘુમતિ, અનુસૂચિત જાતિ, પછાત અને અતિ-પછાતને સત્તામાં ભાગીદારી આપવાની છે. 

લાલુ યાદવની આ જાહેરાત બાદ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, શું ઈન્ડિયા ગઠબંધન આ વાતનો સ્વીકાર કરશે? બીજી બાજું હવે આ જાહેરાત બાદ કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપે છે, તે પણ જોવાનું રહ્યું.