તાત્કાલિક તેહરાન છોડો, એડ્રેસ-ફોન નંબર આપો: ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

June 17, 2025

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારતીય દૂતાવાસે મંગળવારે (17મી જૂન) તેહરાનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓ (PIO)ને શહેર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરી છે. આ ઉપરાંત ભારતીય દૂતાવાસે તેહરાનમાં રહેલા એવા ભારતીયોને પણ સૂચના આપી છે જે સંપર્ક નથી, તેમને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા કહ્યું છે. ભારતીય દૂતાવાસે ઈરાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને જણાવ્યું હતું કે, 'તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. અન્ય ભારતીય નાગરિકોને પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક ભારતીયોને આર્મેનિયા સરહદ દ્વારા ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે. શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે દૂતાવાસે લોકો સાથે સતત સંપર્કમાં છે.' સોશિયલ મીડિયા પ્લેટપોર્મ 'X' પર ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું કે, 'તેહરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને તેમનો ફોન નંબર અને એડ્રેસ +989010144557; +989128109115; +989128109109 નંબર પર મોકલવામાં આવે.' આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'ઈઝરાયલ અને ઈરાન બંનેમાં 24×7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.'