તાલાલામાં બહુમતીની બબાલ: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને લેવડાવ્યા ઇષ્ટદેવના સોગંદ

May 01, 2026

આપના વિજેતા ઉમેદવારોએ ઇષ્ટદેવના સોગંદ ખાધા
તાલાલા : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ જટિલ બન્યું છે. કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નથી, ત્યારે પોતાના સભ્યોને તૂટતા બચાવવા માટે આમ આદમી પાર્ટીએ એક અનોખો અને વ્યૂહાત્મક માર્ગ અપનાવ્યો છે.


તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપની 9 બેઠકો, આમ આદમી પાર્ટી (AAP)ની 07 બેઠકો અને કોંગ્રેસની 02 બેઠકો છે. ત્યારે કોઈ પણ પક્ષ પાસે બહુમતીનો આંકડો ન હોવાથી પક્ષપલટો થવાની પૂરેપૂરી શક્યતાઓને જોતા 'આપ' સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીએ પોતાના સાતેય વિજેતા ઉમેદવારો પાસે પક્ષપલટો ન કરવા માટે તેમના ઇષ્ટદેવના સોગંદ લેવડાવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાના વીડિયો પણ બનાવવામાં આવ્યા છે. ઉમેદવારે પોતાના ઇષ્ટદેવના સોગંદ ખાધા હોવાથી જો તેઓ પક્ષપલટો કરે તો મતદારો અને સમાજમાં તેમની છબી ખરડાઈ શકે છે અને રાજકીય કારકિર્દી ખતમ થવાનો ડર રહે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરીને પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ ઉમેદવાર પક્ષપલટો કરશે, તો પાર્ટી કોર્ટનો સહારો લઈને તેમનું સભ્યપદ રદ કરાવવા સુધીની કાર્યવાહી કરશે.


તાજેતરમાં બોરસદ નગરપાલિકામાં ભાજપ દ્વારા સત્તા મેળવવા માટે AIMIMના ઉમેદવારનું સમર્થન લેવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. તાલાલામાં આવી કોઈ ગોઠવણ ન થાય અને પક્ષના સભ્યો વફાદાર રહે તે હેતુથી આમ આદમી પાર્ટીએ આ 'સોગંદ' કાર્ડ ખેલ્યું છે. હાલ તો તાલાલામાં આ 'સોગંદનામા' ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પવિત્ર સોગંદ રાજકીય પ્રલોભનો સામે કેટલા ટકી શકે છે.