વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન

September 02, 2025

PM નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ ગતમહિને વિપક્ષની રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી બદલ એનડીએ દ્વારા ચાર સપ્ટેમ્બરે બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. ચાર સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી બિહાર બંધ રાખવાની જાહેરાત કરી છે.

એનડીએ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. NDAએ આ મામલે  વડાપ્રધાન મોદીએ આજે મંગળવારે બિહાર રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરતાં સ્વર્ગવાસી માતા વિરુદ્ધ અપશબ્દો બોલવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

ગત મહિને વિપક્ષના ગઠબંધન આરજેડી-કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપશબ્દો બોલવા પર આજે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં આરજેડી-કોંગ્રેસ મંચ પરથી મારા માતા વિરુદ્ધ જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો છે. તે માત્ર મારી માતા માટે જ નહીં, પણ ભારતની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે. હું જાણુ છું કે, આ સાંભળ્યા બાદ તમે સૌ દુઃખી થયા છો. હું માફ કરી દઈશ પણ આ ભારતની ધરતી માફ નહીં કરે. 

બિહારમાં વીડિયો કોન્ફરન્સ મારફત 20 લાખ મહિલાઓને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, મારા સ્વર્ગવાસી માતા હીરાબહેન મોદીએ મને અને મારા ભાઈ-બહેનોને ગરીબીમાંથી બહાર લાવવા અથાગ મહેનત કરી. તેઓ બીમારીમાં પણ કામ કરતાં રહ્યા. તેઓ અમારા માટે કપડાં ખરીદવા પાઈ પાઈ જોડતા હતા.

આપણા દેશની કરોડો માતાઓ પોતાના બાળકો માટે આ મહેનત કરે છે. તે દેવી-દેવતાનું સ્વરૂપ છે. જ્યારે વિપક્ષના ગઠબંધન RJD-કોંગ્રેસના મોટા નેતાઓ માતાને ગાળો આપે છે. મારા સ્વર્ગવાસી માતાને ગાળો આપી. આ માનસિકતા મહિલાઓનું શોષણ અને અત્યાચાર દર્શાવે છે. આ મહિલા વિરોધી માનસિકતાને સત્તા મળી તો માતા, બહેનોને તકલીફ વેઠવી પડશે. મોદી તો માફ કરી દેશે પણ ભારતની ધરતી એ માતાનું અપમાન ક્યારેય સાંખી લેશે નહીં. RJD અને કોંગ્રેસે છઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ.