‘આઝાદીમાં યોગદાન નથી ને બંધારણ વિરુદ્ધ વાતો કરી રહ્યા છે’ ખડગેના PM મોદી પર પ્રહાર

June 25, 2025

દેશમાં આજથી 50 વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી, ત્યારે આજના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારમાં ચૂંટણી પંચ કઠપૂતળી બની ગયું છે. નરેન્દ્ર મોદી કહે છે કે, હું ચૂંટણી જીતી રહ્યો છું. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો તો ઈડી પાસે કોઈ જવા નથી. વર્તમાન સમયમાં ચૂંટણી પંચ મોદી સરકારની કઠપૂતળી બની ગઈ છે.’

આ વર્ષે અંતમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની, ત્યારે ખડગેએ બિહારનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરે તમે ચૂંટણી જીતી રહ્યા નથી, મશીન જીતી રહી છે. વડાપ્રધાન મોદીએ આજે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક પરિપત્ર જાહેર કર્યું છે. તેમાં કહેવાયું છે કે, કટોકટી વખેત બંધારણ નષ્ટ થઈ ગયું હતું અને અમે બંધારણ પર વિશ્વાસ ઉભો કર્યો છે. તમામ રાજ્યએ બંધારણ હત્યા દિવસ મનાવવો જોઈએ.’

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘દેશની આઝાદીમાં જેનું કોઈ યાગદાન નથી, તેઓ બંધારણની વિરુદ્ધમાં વાતો કરી રહ્યા છે. ભાજપ ‘બંધારણ બચાવો યાત્રા’થી ગભરાઈ રહી છે. જે લોકો શાસન કરવામાં નિષ્ફળ ગયા છે, મોંઘવારીથી લઈને બેરોજગારી પર જવાબ આપતા નથી, નોટબંધી પર જવાબ આપતા નથી, તમે સર્વપક્ષીય બેઠકમાં પણ આવતા નથી અને પહલગામ પર બેઠક બોલાવીને રેલી કરવા જતા રહ્યા.’