ભારતની કાર્યવાહીના ડર વચ્ચે પાકિસ્તાનને 57 મુસ્લિમ દેશોનું સમર્થન

May 02, 2025

ન્યુયોર્ક- ભારત સાથે વધતા તણાવ વચ્ચે હવે પાકિસ્તાન મુસ્લિમ દેશોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, 57 દેશોના સમૂહ OIC (ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઑપરેશન)ને પાકિસ્તાનનો સાથ આપવાની વાત કહી છે. હાલમાં જ પાકિસ્તાને OIC ને દક્ષિણ એશિયાની હાલની સ્થિતિની જાણકારી આપી હતી. આ દરમિયાન ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને દેશની શાંતિ સામે 'ગંભીર જોખમ' જણાવવામાં આવી હતી.  


ન્યુયોર્કમાં આયોજિત OIC ના રાજદૂતોની બેઠકમાં પાકિસ્તાને દક્ષિણ એશિયાના મુદ્દે વાત કરી હતી. UN (સંયુક્ત રાષ્ટ્ર)માં પાકિસ્તાનના રાજદૂત આસિમ ઇફ્તિખાર અહેમદે કહ્યું કે, 'ભારત તરફથી કરવામાં આવેલાં નિર્ણય ખૂબ જ ભડકાઉ, રાજકીય પ્રેરિત અને બેજવાબદારીભર્યા હતાં. તેથી OIC સભ્યોના દેશોને ભારતના સ્ટેન્ડ અને તેના પરિણામો પર વિચાર કરવાની અપીલ કરૂ છું.' મળતી માહિતી મુજબ, OIC ના રાજદૂતોએ પાકિસ્તાન અને તેમની જનતા સાથે એકજૂટતા સાથે પૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે વ્યૂહાત્મક વાતચીત દ્વારા તણાવ ઓછો કરવા અને ક્ષેત્રીય તણાવના મૂળને શોધી કાઢવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, OIC ના પ્રસ્તાવના આધાર પર સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતોએ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરી અને કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. પાકિસ્તાનના નેતાઓનું કહેવું છે કે, પાકિસ્તાન એકજૂટ છે અને પોતાના સશસ્ત્ર દળોની સાથે ઊભું છે, જે કોઈપણ જોખમ અથવા આક્રમકતાનો જવાબ આપવા સક્ષમ છે.'