પંચમહાલ : ખાડામાં ડૂબી જતાં 4 બાળકોનાં મોત

September 26, 2023

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં તળાવ નજીક આજે વહેલી સવારે 4 બાળકો રમતા રમતા એક ખાડામાં નાહવા પડ્યાં હતાં. ત્યારે અચાનક ખાડાના પાણીમાં ડૂબી જવાથી ચારેય બાળકોના મોત નીપજ્યાં હતા. ગજાપુરા ગામના એક જ પરિવારના 4 માસૂમ બાળકોના મોત થતા પરિવારમાં ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને લઈ

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્થળ પર પહોંચ્યા હતા. ચારેય બાળકોની લાશને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી હતી. તમામ બાળકો અંદાજીત 10થી 12 વર્ષની ઉંમર હતી.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...

મૃતક બાળકોના નામ

સંજય વીરાભાઈ બારીયા,10 વર્ષ (તેમના માતા-પિતાનો એક જ સંતાન)
રાહુલ રમેશભાઈ બારીયા,11 વર્ષ
પરસોત્તમ રાજુભાઇ બારીયા,9 વર્ષ (તેમના માતા-પિતાનો એક જ સંતાન)
અંકિત અરવિંદભાઈ બારીયા,11 વર્ષ
ઘોઘંબાનું ગજાપુરા ગામ હિબકે ચડ્યું
ઘોઘંબા તાલુકાના ગુંદી નજીક આવેલા માલુ ગજાપુરા ગામે આવેલા તળાવમાં આજે સવારે ચાર બાળકો ડૂબ્યા હતા. ગામના 4 બાળકો તળાવ કિનારે રમવા માટે ગયા હતા. જે પૈકી બે બાળકો તળાવના પાણીમાં ઉતર્યા હતા. જેઓ તળાવના ઊંડા ખાડાના પાણીમાં ડૂબતા બહાર અન્ય બે બાળકો તેમને બચાવવા પાણીમાં ઉતર્યા હતા.


એક સાથે ચાર બાળકો તળાવના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા, આ તમામ બાળકો ના મોત નિપજ્યા છે. નાનકડા ગામમાં એક સાથે ચાર બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થતા ગામ આખું તળાવે એકઠું થયું હતું. તમામ બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તો કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના ગામ પાસે આ કરુણાતિકા સર્જાતા તેઓ ઘટન સ્થળે દોડી ગયા હતા. તળાવમાં ડૂબેલા ચારેય બાળકો 11 વર્ષની નીચેના છે.

એક સાથે ગામના ચાર બાળકોના મૃતદેહો તળાવ કિનારે બહાર કાઢવામાં આવતા ગામ આખું હિબકે ચડ્યું છે.