પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે...' રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત

May 25, 2025

પૂણે : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલ, એવી અટકળો ચાલી રહી છે તે, તે પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે ફરી હાથ મિલાવી શકે છે. આ દરમિયાન રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે, ભાજપ રાજ્યની રાજનીતિમાંથી પવાર અને ઠાકરે બ્રાન્ડને ખતમ કરવાનું કાવતરૂં ઘડે છે. જોકે, બાદમાં તેમણે ભાર મૂકીને કહ્યું કે, આ બ્રાન્ડને ખતમ નહીં કરીસ શકાય. 


પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે રાજ ઠાકરેએ કહ્યું કે, 'ઠાકરે બ્રાન્ડની વાત કરીએ તો મારા દાદા પ્રભોધનકાર ઠાકરેએ મહારાષ્ટ્ર પર સૌથી પહેલા ઊંડો પ્રભાવ પાડ્યો. ત્યારબાદ બાળાસાહેબ ઠાકરે, બાદમાં મારા પિતા શ્રીકાંત ઠાકરે જેમણે સંગીતમાં ઓળખ બનાવી. ત્યારબાદ ઉદ્ધવ અને મેં પણ રાજકારણમાં પોતાની ઓળખ બનાવી. એ પણ છે કે, ભાજપ બંને બ્રાન્ડ્સને ખતમ કપરવા ઈચ્છે છે પરંતુ, આ શક્ય નથી. ભલે નેતા બદલાઈ જાય પરંતુ, બ્રાન્ડ જીવિત રહે છે.' 

રાજ ઠાકરેનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી હલચલ મચી છે. ખાસ કરીને જ્યારે ઠાકરે અને પવાર પરિવારમાં વિભાજન અને સંભવિત મેલ-મિલાપની અટકળો ચાલી રહી છે. હવે રાજ ઠાકરેના આ નિવેદનથી બંને ભાઈઓ ફરી એક થશે તેવી અટકળોને હવા મળી છે. જોકે, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ ચર્ચાઓને ફક્ત ભાવનાત્મક સંવાદ જણાવી સ્પષ્ટ કર્યું કે, હવે કોઈ ગઠબંધનની વાત નથી. રાજ ઠાકરેએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'મહારાષ્ટ્રનું હિત મારા માટે સૌથી ઉપર છે. જો ઉદ્ધવ ઠાકરે સાથે કામ કરવા તૈયાર હોય તો હું પણ મારા મતભેદને બાજુંએ મૂકી શકું છુ.' આ નિવેદનની જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.