લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શાંતિ કરાર પૂરો થશે: ઇરાન

June 17, 2026

દુબઈ : ઇરાનના ટોચના રાજદ્વારીએ મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકા સાથે યુદ્ધ અંત લાવવાનો શાંતિ કરાર ઇઝરાયેલ લેબનોનમાંથી તેનું લશ્કર પરત ખેંચે ત્યારે જ પૂરો થશે. ઇઝરાયેલે ઇરાનની આ વાત ફગાવી દીધી છે અને લેબનોન પર તેના હુમલા વધુ આક્રમક કર્યા છે અને છેક બૈરુત સુધી હુમલા કરવા માંડયું છે. તેના લીધે ફરીથી યુદ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓ છે. અમેરિકા-ઇરાન વચ્ચે હજી સુધી જાહેરમાં ન મૂકાયેલા ડીલને અધિકારીઓ વિરોધાભાસી ધોરણે વ્યાખ્યાયિત કરે છે. ઇરાનના વિદેશપ્રધાન અરાઘાચીએ જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો કબ્જો આ ડીલનો ભંગ કરે છે. બીજી બીજુએ અમેરિકન અધિકારીનું કહેવું છે કે અમેરિકા-ઇરાન શાંતિ કરારમાં ઇઝરાયેલને લેબનોનમાંથી પરત ખેંચવાની વાત જ થઈ નથી. ઇઝરાયેલનો દાવો છે કે આ યુદ્ધ હજી ખતમ થયું નથી. આ દાવાને સમર્થન આપતા હોય તેમ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલે કરેલા ચાર જુદાં-જુદાં હુમલામાં ચારના મોત થયા હતા. અમેરિકા-ઇરાન વચ્ચેના શાંતિ કરાર પછી પહેલી વખત પત્રકાર પરિષદ સંબોધતા ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું હતું કે સંઘર્ષ હજી પૂરો થયો નથી. તેમનું લશ્કર ગાઝા, લેબનોન અને સીરિયામાં જરૂર હશે ત્યાં સુધી રોકાશે. તેમણે ટ્રમ્પ સાથેના અણબનાવ અંગે પણ જવાબ આપ્યો.નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇરાન સાથે એવી કોઈ સમજૂતી નહી થાય જેથી ઇરાનને પરમાણુ શસ્ત્રો રાખવાની છૂટ મળે, નહીં આજે મળે કે નહીં ભવિષ્યમાં મળે. હું જ્યાં સુધી ઇઝરાયેલનો વડાપ્રધાન છું ત્યાં સુધી આવું નહીં થવા દઉં. નેતન્યાહુએ ઇઝરાયેલની પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે મારા અમેરિકન સહયોગીઓ સાથે મળીને અમે ઇઝરાયેલના ઇતિહાસનો સૌથી મોટો હુમલો કર્યો. અમે પરમાણુ વૈજ્ઞાાનિકોને નિશાન બનાવ્યા. આતંકના આકાઓને ખતમ કર્યા. પરમાણુ ઠેકાણાઓ પર હુમલા કર્યા, મિસાઇલો અને મિસાઇલ બનાવવાની ક્ષમતાઓ ખતમ કરી. સૌથી મોટી સિદ્ધિ એ છે કે અમે ઇઝરાયેલ પર મંડરાતા પરમાણુ હુમલાના ભયને ખતમ કરી નાખ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલે ગાઝા, લેબનોન, સીરિયા અને યમનમાં ઇરાન સમર્થિત સમૂહો પર હુમલા કર્યા છે.ઇઝરાયેલ હાલમાં લગભગ ૬૦૦ કિ.મી.ના પ્રદેશ પર અંકુશ ધરાવે છે. તેમણે ટ્રમ્પ સાથેના અણબનાવ અંગે જણાવ્યું હતું કે કેટલાક મુદ્દાઓ પર અમે સંમત હોઈએ છીએ એને કેટલાક પર નથી હોતા. ટ્રમ્પે પણ લેબનોનમાં ઇઝરાયેલની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયેલ લેબનોનમાં અત્યાર સુધીમાં ચાર હજાર લોકોને ખતમ કરી ચૂક્યુ છે અને ૧૨ લાખથી પણ વધુ લોકો લેબનોનમાં જ વિસ્થાપિત થઈ ચૂક્યા છે.