નિરાશાવાદી લોકો ભારતને નીચું દેખાડવા માંગે છે - મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

June 05, 2026

કોંગ્રેસ  અરાજકતા ફેલાવીને સત્તામાં આવવાના અવસર શોધી રહી છે
સુરતમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તેમજ પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડના 4950.39 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ


સુરત: પીએમ મોદી સુરતમાં સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આડે હાથે લીધા હતા. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આજે દેશમાં કેટલાક એવા નિરાશાવાદી લોકો છે કે આત્મ નિર્ભર ભારતની મજાક ઉડાવી રહ્યા છે. તેમજ ભારતને નીચું દેખાડવા માંગે છે. 
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે આ લોકોએ દેશને બીજા પર નિર્ભર રાખ્યો હતો. આ લોકો ભૂલી જાય છે બીજા પર નિર્ભર દેશ ક્યારેય વિકાસ નથી કરી શકતો. જ્યારે ભારત આશાવાદથી ભરપૂર  છે અને આ નકારાત્મકાથી આગળ નીકળી ચૂક્યો છે. તેમજ હવે રોકાવું મંજૂર નથી. આપણે વિકસીત ભારતના સંકલ્પને સિધ્ધ કરવાનો છે. 
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં કોંગ્રેસ  અરાજકતા ફેલાવીને સત્તામાં આવવાના અવસર શોધી રહી છે. પરંતુ દેશની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે. તેમજ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ લોકો ત્રાસી ગયા છે. જેમાં હિમાચલમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ તેની કારમી હાર થઇ છે. તેમજ હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પ્રત્યે લોકોના અસંતોષના લીધે મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી છે.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ની હજીરા ફેસિલિટીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાર્યરત ઔદ્યોગિક કામગીરી અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ એલ એન્ડ ટીના અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ 'એ. એમ. નાઈક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ'ની મુલાકાત લીધી, જ્યાં કંપનીના ઉચ્ચ અધિકારીઓએ તેમને સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કરાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનને ખાસ કરીને ચીન સરહદે ઝડપી તૈનાતી માટે ડીઆરડીઓ અને એલએન્ડટી ડિફેન્સ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી 25 ટનની એર-ટ્રાન્સપોર્ટેબલ ‘જોરાવર’ લાઈટ ટેન્ક અને અન્ય સ્વદેશી સંરક્ષણ સાધનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પોતાના એક દિવસીય ગુજરાત અને દમણ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી આશરે રૂ. 22000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું તેમજ એક વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. આ અંતર્ગત પીએમ મોદી માત્ર સુરતમાં જ રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રના રૂ. 18800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા.  જેમાં સુરતમાં નવનિર્મિત 200 બેડની સુવિધા ધરાવતી ઇએસઆઈસી હોસ્પિટલનું લોકાર્પણ મુખ્ય હતું. આ ઉપરાંત, તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રૂ. 2970  કરોડના વિકાસકાર્યોની શરૂઆત કરાવી હતી, જેમાં દમણના નવનિર્મિત 'નમો એરપોર્ટ'ના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. 
સુરત મુલાકાત દરમિયાન વડાપ્રધાને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તેમજ પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડના કુલ રૂ. 4950.39 કરોડના ખર્ચના ચાર મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સુરત અને નવસારી જિલ્લામાં પાવરગ્રિડ દ્વારા રૂ. 4546  કરોડના ખર્ચે તૈયાર થયેલ 'ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટ' મુખ્ય છે. આ પ્રોજેક્ટ થકી રાજ્યનું ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત બનશે અને ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો અત્યંત સરળ બની જશે.