11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ

May 06, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 10 અને 11 મેના રોજ ગુજરાત પધારી રહ્યા છે, જે દરમિયાન 11 મેના રોજ વડોદરામાં ભવ્ય રોડ શો યોજાશે. આ પ્રવાસ દરમિયાન તેઓ પાટીદાર સમાજની સંસ્થા સરદારધામ-3નું લોકાર્પણ કરશે. આ સંસ્થા દ્વારા 150 કરોડના ખર્ચે 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં બે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વડોદરામાં આ ત્રીજું ભવન છે. અગાઉના બે ભવનના લોકાર્પણ સમયે વડા પ્રધાન રૂબરૂ આવી શક્યા ન હતા, પરંતુ આ ત્રીજા ભવનના લોકાર્પણ માટે તેઓ સૌપ્રથમ વખત રૂબરૂ ઉપસ્થિત રહેશે.

પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં થયેલી ભાજપની જીતનો જશ્ન પણ વડોદરામાં મનાવવામાં આવશે. વડા પ્રધાન મોદી જ્યારે સરદારધામના લોકાર્પણ પ્રસંગે આવશે ત્યારે બંગાળી, તમિલ અને આસામના લોકો તેમનું વિશેષ અભિવાદન કરશે. હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોના રૂટ પર પશ્ચિમ બંગાળ અને આસામની થીમ પર વિશેષ લાઈટિંગ કરવામાં આવશે. પીએમ મોદીની આ મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા કલેકટર દ્વારા સરદારધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સંસ્થા દ્વારા લોકાર્પણ અંતર્ગત બનાવવામાં આવેલી 21 કમિટીઓ અંગે તંત્રને માહિતગાર કરાયું હતું.

સરદારધામ દ્વારા પાર્કિંગ, સ્ટેજ મેનેજમેન્ટ, ભોજન અને ટ્રાન્સપોર્ટ સહિતની વ્યવસ્થાઓ માટે અલગ-અલગ કમિટીઓ બનાવવામાં આવી છે. પાટીદાર સમાજ દ્વારા સમાજના દીકરા-દીકરીઓ માટે ગુજરાતમાં અગાઉથી જ બે સરદારધામ કાર્યરત છે. વડોદરામાં નેશનલ હાઈ-વે નજીક આ ત્રીજું અત્યાધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં આ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને 5 વર્ષ બાદ 4,75,000 સ્ક્વેર ફૂટમાં આ ભવન ઊભું કરાયું છે. આ સંસ્થાનો મુખ્ય ધ્યેય પાટીદાર સમાજના યુવાનોના સર્વાંગી વિકાસ દ્વારા તેમને સક્ષમ બનાવી રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવાનો છે. વડા પ્રધાનના આગમનને પગલે શહેરના વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.