ઈરાનના પરમાણુ સ્થળોનો નાશ થવાની તૈયારી, તહેરાનમાં રેડિયેશનનું જોખમ

June 18, 2025

તેલઅવીવ/તહેરાન : ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા ઈઝરાયેલે શરૂ કરેલા યુદ્ધને પાંચ દિવસ થઈ ગયા છે અને આ સંઘર્ષ વધુ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. જોકે, ઈઝરાયેલ તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ઈઝરાયેલે જણાવ્યું કે, ઈરાનના ૧૦ પરમાણુ સ્થળોનો નાશ થવાની તૈયારી છે. ઈઝરાયેલના હુમલામાં પરમાણુ મથકમાં ૧૫,૦૦૦ સેન્ટ્રીફ્યુઝને નુકસાન થતાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને મોટો ફટકો પહોંચ્યો છે જ્યારે તહેરાનમાં રેડિયેશનનું જોખમ વધી ગયું છે તેમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા આયોગના પ્રમુખ ગોસીએ કહ્યું હતું. મધ્ય-પૂર્વમાં કટોકટી વકરતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ જી-૭ શિખર મંત્રણા અધવચ્ચે છોડીને અમેરિકા પાછા ફર્યા હતા. ઈરાન અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી એકબીજા પર જોરદાર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે જણાવ્યું કે તેમની એરફોર્સ તહેરાનમાં અત્યંત ચોક્સાઈપૂર્વક પરમાણુ સ્થળો, મિસાઈલ સ્થળો અને વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહી છે. ઈરાનના ૧૦ પરમાણુ મથકોનો નાશ થવાની તૈયારી છે. વધુમાં ઈઝરાયેલના ટાર્ગેટેડ હુમલામાં માત્ર ચાર જ દિવસમાં ઈરાનના નવા નિમાયેલા સૈન્ય વડા અલી શામદાનીનું મોત થઈ ગયું છે. દુનિયાભરમાં પરમાણુ ઊર્જા એકમો પર નજર રાખતી સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા આયોગના પ્રમુખ રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે, ઈરાનના સૌથી મોટા નતાંઝ પરમાણુ મથક પર ઈઝરાયેલે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં નતાંઝમાં હયાત ૧૫,૦૦૦ સેન્ટ્રીફ્યુઝનો નાશ થઈ ગયો છે. નતાંઝ પરમાણુ સાઈટ પર એક પ્લાન્ટનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. પરમાણુ હથિયારો બનાવવા માટે સેન્ટ્રીફ્યુઝ અત્યંત જરૂરી હોવાથી હવે ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાના અભિયાનને મોટો ફટકો પહોંચ્યો છે. વધુમાં પરમાણુ મથકો પર હુમલાના કારણે તહેરાનમાં રેડિયેશનનું જોખમ વધી ગયું છે. ઈઝરાયેલ પર વળતો હુમલો કરતા ઈરાને ઈઝરાયેલની રાજધાની તેલ અવિવ સહિત અનેક શહેરોમાં મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાનની સમાચાર સંસ્થા આઈઆરએનએ મુજબ ઈરાને ઈઝરાયેલનની જાસૂસી સંસ્થા મૌસાદ અને મિલિટ્રી ઈન્ટેલીજન્સ સંસ્થા અમાનના મુખ્યાલયોને નિશાન બનાવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. ઈરાને આખી રાત ઇઝરાયેલના શહેરો પર મિસાઈલ મારો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલના હાઈફા બંદર સ્થિત એક વિશાળ પાવર પ્લાન્ટને પણ ઉડાવી દીધું હતું. ઈરાને તહેરાનમાં મોસાદની ડ્રોન બનાવતી ફેક્ટરી તોડી પાડયાનો પણ દાવો કર્યો હતો.ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ઘર્ષણના પગલે મધ્ય-પૂર્વમાં કટોકટી વધુ ગંભીર બની ગઈ છે. પરિણામે જી-૭ શિખર મંત્રણા માટે કેનેડા પહોંચેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઠક અધવચ્ચે છોડીને અમેરિકા પાછા ફર્યા હતા.  ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકન હિતોનું રક્ષણ કરશે. જોકે, આ યુદ્ધ મુદ્દે જી-૭ બેઠકમાં મતભેદો જોવા મળ્યા હતા. ઈઝરાયેલ અને ઈરાનને તણાવ ઘટાડવા માટે અપીલ કરવાના જી-૭ રાષ્ટ્રોના સંયુક્ત વક્તવ્યને સમર્થન આપવાનો ટ્રમ્પે ઈનકાર કરી દીધો હતો. ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધમાં ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસ સક્રિય થઈ ગયું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે પુષ્ટી કરી કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત ભારતીયોએ ઈરાનની સરહદ પાર કરી આર્મેનિયામાં પ્રવેશ કર્યો છે.