વાંગચુકની ધરપકડ પર બોલ્યા રાહુલ, ભાજપ-RSS લદાખની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે

September 28, 2025

લદાખ : લદાખમાં થયેલા હિંસક પ્રદર્શનો અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ગેરકાયદે પ્રવૃત્તિઓ (NSA) હેઠળ થયેલી ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને હિંસા માટે ભાજપ-આરએસએસને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ, આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.

રાહુલ ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘લદાખની અદ્ભુત જનતા, સંસ્કૃતિ અને પરંપરાઓ ભાજપ અને આરએસએસના નિશાના પર છે. લદાખના લોકોએ માત્ર પોતાનો અવાજ ઉઠાવ્યો, જેના જવાબમાં ભાજપે ચાર યુવકોની હત્યા કરી અને સોનમ વાંગચુકને જેલમાં પૂરી દીધા. હત્યા બંધ કરો, ડરાવવાનું અને ધમકાવવનું બંધ કરો, લદાખને તેમનો અવાજ આપો, તેમને છઠ્ઠી અનુસૂચિનો અધિકાર આપો.’


રાહુલ ગાંધીના નિવેદન પહેલાં AAPએ વાંગચુકની ધરપકડ પર તેમની ચૂપકીદી પર સવાલ ઉઠાવ્યો હતો. AAPએ રાહુલ ગાંધી દ્વારા PM મોદીને ગળે ગાવવાની તસવીર શેર કરીને નિશાન સાધ્યું છે. આપે કહ્યું કે ‘પ્રખ્યાત સમાજસેવી વાંગચુક પર દેશદ્રોહનો ખોટો કેસ કરીને નરેન્દ્ર મોદીની તાનાશાહી સરકારે તેમને જેલમાં પૂરી દીધા, જોકે આ મામલે રાહુલ ગાંધીએ કથિત રીતે મૌન ધારણ કર્યું છે. આ પહેલા રાહુલ ગાંધીએ ભારત-પાકિસ્તાન મેચ યોજવા મામલે મૌન ધારણ કર્યું હતું.’