રાજ ઠાકરેનું રાહુલને સમર્થન, કહ્યું- 2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની

August 24, 2025

દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી ‘વૉટ ચોરી’ના આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેવના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ રાહુલના આ આક્ષેપોનું સમર્થન કર્યું છે. ઠાકરેએ કહ્યું કે, મતદાનમાં ગોટાળા કોઈ નવી વાત નથી. મેં આ મુદ્દે વર્ષ 2016-17માં ચેતવણી પણ આપી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ, રાજસાહેબ ઠાકરેએ પુણેની મુલાકાત દરમિયાન મહાત્મા ફૂલે વાડાની મુલાકાત લીધી હતી અને મહાન સમાજ સુધારકો મહાત્મા જ્યોતિબા ફૂલે અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને વોટ ચોરી મુદ્દો સમર્થન આપવાની સાથે કેન્દ્ર સરકાર પર આકરા પ્રભારો કર્યા હતા.
રાજ ઠાકરેએ કહ્યું કે, મેં 2016-17માં શરદ પવાર, સોનિયા ગાંધી અને મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જોકે તે વખતે વિપક્ષ દ્વારા કોઈપણ યોગ્ય પગલા લેવાયા નહીં. મેં ત્યારે કહ્યું હતું કે, ‘લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરો, જો તે વખતે આવું કર્યું હોત તો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ ઉભું થયું હોત, જોકે તમામ લોકોએ પીછેહઠ કરી લીધી હતી. રાહુલ ગાંધીએ આજે ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. લોકો મતદાન કરી રહ્યા છે, પરંતુ તે મત ઉમેદવાર સુધી પહોંચતા નથી, તે મત ચોરી થઈ રહ્યા છે. MNS પ્રમુખે વધુમાં કહ્યું કે, 2014થી અત્યાર સુધીમાં ચૂંટણીમાં ગોટાળાનો ફાયદો ઉઠાવીને સરકારો બની છે. ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપીને કહ્યું કે, ‘ભાજપને 132 બેઠકો મળી, એકનાથ શિંદેને 56 અને અજિત પવારને 42 બેઠકો મળી હતી. આટલી મોટી જીત છતાં હારનારાઓ પણ ખુશ ન હતા અને જીતનારાઓ પણ ખુશ ન હતા., કારણ કે મતદાનમાં ગોટાળા થયા હતા.’

રાજ ઠાકરેએ એમએનએસના કાર્યકર્તાઓને આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સાવધાન રહેવા કહ્યું છે. તેમણે કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યા છે કે, ભવિષ્યની ચૂંટણીમાં આવા ગોટાળા ન થાય તે માટે તેઓ મતદાર યાદીમાં ઊંડાણપૂર્વક કામ કરે.