એન્ટી બેલેસ્ટિક મિસાઇલ સહિત અનેક હથિયારોને લઇને મોટી ડીલની સંભાવના

February 21, 2026

પીએમ મોદી આગામી 25-26 ફેબ્રુઆરી દરમિયાન ઇઝરાયલના દ્વિદિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ મુલાકાત પહેલાં બંને દેશો પોતાના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સક્રિય થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સંયુક્ત વિકાસ અને સહયોગ વધારવાનો છે.

ભારત અને ઇઝરાયલ વચ્ચે સુરક્ષા સહયોગને લગતા એક મહત્વના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જોકે, બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદાઓ પહેલેથી જ કાર્યરત હોવાથી કોઈ નવા મોટા વ્યાપારી કરારની શક્યતા ઓછી છે, પરંતુ આગામી વર્ષોમાં આ ભાગીદારી આશરે $10 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ઈઝરાયલ ભારતને નવી સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડવા તૈયાર છે. આમાં લેસર-આધારિત સંરક્ષણ પ્રણાલીઓ, લાંબા અંતરની મિસાઈલો અને ડ્રોનનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ એવી ટેકનોલોજી પણ શેર કરી શકે છે જે તેણે અગાઉ પૂરી પાડી નથી. ભારત અને ઈઝરાયલ એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સંરક્ષણ પ્રણાલી પર સાથે મળીને કામ કરી શકે છે. આ ભારતના મિશન સુદર્શનનો મુખ્ય ભાગ છે, જેનો ઉદ્દેશ્ય દેશને દુશ્મન લાંબા અંતરની મિસાઈલોથી બચાવવાનો છે. ઈઝરાયલ પાસે એરો, ડેવિડ સ્લિંગ અને આયર્ન ડોમ જેવી શક્તિશાળી સંરક્ષણ પ્રણાલીઓ છે.