અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના ઉદ્યોગપતિએ હીરા જડિત સોના-ચાંદીના આભૂષણોનું દાન કર્યું

June 05, 2025

આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્તમાં કરાઈ છે, જેની પહેલી તસવીર સામે આવી છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પ્રસંગે રામ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજારો ભક્તો અયોધ્યામાં ઊમટી પડ્યા છે. 

રામ દરબાર રામલલાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવવામાં આવ્યો છે. કાશીના પુજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કર્યા પછી, મૂર્તિઓ પર બાંધેલી આંખો પર પટ્ટી ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો. ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે. ભક્તો ક્યારે રામ દરબારના દર્શન કરી શકશે તે અંગે ટ્રસ્ટે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના ઘરેણાનું રામ મંદિર ટ્રસ્ટને દાન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ જણાવ્યું હતું કે, 'દાનમાં મળેલા ઘરેણાંમાં 1000 કેરેટનો હીરો, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુગટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચારેય ભાઈઓ માટે ગળાનો હાર, કાનની બુટ્ટી, કપાળનું તિલક, ધનુષ્ય અને તીર છે. આ ઘરેણા ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યા હતા.