સત્યપાલ મલિકની હાલત ગંભીર, ફરી ICUમાં કરાયા દાખલ

June 07, 2025

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ફરીથી ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ખૂબ જ ગંભીર બની રહી હોવાનું તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણવા મળ્યું છે. તેમજ તેમણે સરકાર પર તેમને ફસાવવાના બહાના શોધી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
સત્યપાલ મલિકે X પર આ અંગે લખ્યું છે કે, 'હું છેલ્લા લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છું અને કિડનીની સમસ્યાથી પીડિત છું. બે દિવસ પહેલા સવારથી હું ઠીક હતો, પરંતુ આજે ફરીથી મને ICU માં શિફ્ટ કરવામાં આવ્યો છે. મારી હાલત ખૂબ જ ગંભીર બની રહી છે.'


સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે, 'હું રહું કે ન રહું, તેથી મારા દેશવાસીઓને સચ્ચાઈ કહેવા માંગુ છું કે જ્યારે હું રાજ્યપાલના પદ પર હતો ત્યારે મને ₹150 કરોડની લાંચની ઓફર પણ થઈ હતી, પરંતુ હું મારા રાજકીય ગુરુ, ખેડૂતના મસીહા સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીની જેમ ઈમાનદારીથી કામ કરતો રહ્યો અને તેઓ ક્યારેય મારી ઈમાનદારી ડગાવી શક્યા નહીં.' પૂર્વ રાજ્યપાલે લખ્યું, 'જ્યારે હું રાજ્યપાલ હતો ત્યારે ખેડૂત આંદોલન પણ ચાલી રહ્યું હતું. મેં કોઈ રાજકીય લોભ-લાલચ વગર પદ પર રહીને ખેડૂતોની માંગણીઓ ઉઠાવી. પછી મહિલા પહેલવાનોના આંદોલનમાં જંતર-મંતરથી લઈને ઈન્ડિયા ગેટ સુધી તેમની દરેક લડાઈમાં હું તેમની સાથે રહ્યો. પુલવામા હુમલામાં શહીદ વીર જવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેની આ સરકાર દ્વારા આજ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી.'