બાંગ્લાદેશમાં નવી ચલણો નોટો જાહેર, શેખ મુજીબુર રહેમાનની જગ્યાએ જુઓ કઈ તસવીર લગાવી

June 02, 2025

બાંગ્લાદેશની સેન્ટ્રલ બેન્કે રવિવારે (પહેલી જૂન) નવી ડિઝાઇન સાથે નવી ચલણી નોટ જાહેર કરી છે. આ નવી ચલણી નોટોમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુઝીબુર રહેમાનની તસવીર હટાવી દીધી છે. નવી નોટોમાં શેખ મુઝીબુર રહેમાનના ફોટાની જગ્યાએ બાંગ્લાદેશના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ, પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપારિક સ્થળ દોરવામાં આવ્યા છે. અત્યાર સુધી બાંગ્લાદેશની તમામ બેન્ક નોટ પર શેખ મુઝીબુર રહેમાનની તસવીર હતી, જેણે 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી હતી, પરંતુ ચાર વર્ષ બાદ સૈન્ય બળવામાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.  બાંગ્લાદેશના સેન્ટ્રલ બેન્કે જણાવ્યું કે, નવી બેન્ક નોટોની સાથોસાથે મુઝીબુર રહેમાનના ચિત્રવાળી નોટ અને સિક્કા પણ ચલણમાં રહેશે. બાંગ્લાદેશ સેન્ટ્રલ બેન્કના પ્રવક્તા આરિફ હુસૈન ખાને જણાવ્યું કે, 'નવી સીરિઝ અને ડિઝાઇન હેઠળ, નોટો પર કોઈ માનવ ચિત્ર નહીં હો પરંતુ, પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપારિક સ્થળ પ્રદર્શિત કરવામાં આવશે. બાંગ્લાદેશ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નોટ પર હિન્દુ અને બૌદ્ધ મંદિરોની સાથોસાથે ઐતિહાસિક મહેલોની તસવીર પણ હશે, જેમાં દિગ્ગજ ચિત્રકાર જૈનુલ આબેદીનની કલાકૃતિનો પણ સમાવેશ થશે. આ ચિત્રોમાં બ્રિટિશ સાશન સમયના બંગાળના દુષ્કાળને દર્શાવવામાં આવ્યું છે. એક અન્ય બેન્ક નોટ પર પાકિસ્તાનની સામે સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા લોકોની યાદમાં બનેલા રાષ્ટ્રીય શહીદ સ્મારકને દર્શાવવામાં આવશે. નવ અલગ-અલગ મૂલ્યની ત્રણ નોટ રવિવારે જાહેર કરવામાં આવી હતી. બાકીની નોટ તબક્કાવાર ચલણમાં લાવવામાં આવશે. આરિફ હુસૈન ખાને કહ્યું કે, 'નવી નોટ કેન્દ્રીય બેન્કના મુખ્યાલય દ્વારા જાહેર કરવામાં આવશે અને બાદમાં દેશભરમાં તેના અન્ય કાર્યાલયોથી જાહેર કરવામાં આવશે.'નોંધનીય છે કે, આ પહેલીવાર નથી કે, બાંગ્લાદેશની બદલાતા રાજકારણને પ્રતિબિંબિત કરવા માટે બેન્ક નોટોની ડિઝાઇનમાં સંશોધન કરવામાં આવ્યું હોય. જ્યારે ખાલિદા જિયાના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી સત્તામાં હતી, તો નોટોમાં ઐતિહાસિક અને પુરાતાત્વિક સ્થળોને દર્શાવામાં આવ્યા હતા.  1972માં, શરૂઆતની બાંગ્લાદેશની નોટોમાં સ્વતંત્રતા બાદ પૂર્વ પાકિસ્તાન નામ બદલ્યા પછી શું બન્યું તેનો નકશો દર્શાવ્યો હતો. ત્યારબાદની નોટોમાં શેખ મુઝીબુર રહેમાનની તસવીર હતી, જે આવામી લીગના નેતા હતા. તેમની દીકરી શેખ હસીનાએ બાદમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું અને સતત 15 વર્ષ સુધી બાંગ્લાદેશના વડાંપ્રધાન રહ્યા, જોકે ગત વર્ષે ઓગસ્ટમાં તેમની સામે વિદ્યાર્થીના નેતૃત્વામાં કરવામાં આવેલા વિદ્રોહ બાદ તેમને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. હસીનાને સત્તામાંથી દૂર કર્યા બાદ ભારતમાં શરણ લીધા બાદ મુસ્લમ બહુમતિ ધરાવતા દેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મહોમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચલાવવામાં આવી રહી છે.