કરાચીમાં ભૂકંપના કારણે મલીર જેલની દિવાલોમાં તિરાડ પડતાં કેટલાક કેદીઓ તોડીને નાસી છૂટયા

June 03, 2025

કરાચીમાં આવેલા ભૂકંપના કારણે મલીર જેલની દિવાલોમાં તિરાડ પડ્યા બાદ કેટલાક કેદીઓ તે ભાગ તોડીને નાસી છૂટયા છે. માત્ર ભાગી છૂટવાના કારસ્તાન ઉપરાંત જેલ કર્મચારીઓ ઉપર હુમલો કરીને તેમના શસ્ત્રો પણ ઝૂંટવી લીધા હતા. એક તબક્કે ગોળીબાર પણ કરાયો હતો. કરાચીમાં 24 કલાકમાં ધરતીકંપના આંચકાનો દૌર ચાલુ હતો. લાંધઇ, શેરોપાઓ, કાયદાબાદ જેવા વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. 

સ્થાનિક હવામાન વિભાગના કહેવા મુજબ કીર્થર ફોલ્ટ લાઇન આ વિસ્તારોની નજીક હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા ચાલુ રહ્યા છે. છેલ્લો આંચકો સોમવારે રાત્રે 11.16 વાગ્યે 2.4 ની તીવ્રતાનો અનુભવાયો હતો. કેટલાય નાગરિકોના ઘર પડી ગયા હતા અને કરાચીમાં મિલકતોને નુકસાન થયું છે ત્યારે જેલની દીવાલોમાં પડેલી તિરાડો અને તૂટેલા ભાગોને તોડવાના કૃત્ય પણ કેદીઓએ કર્યા છે. 

ભૂકંપના કારણે કેટલાક કેદીઓ તેમની બેરેકમાંથી બહાર નીકળી આવ્યા હતા એમ કારચીના પોલીસ નાયબ મહાનિરીક્ષક મોહમ્મદ હસન સહતોએ કહ્યું હતું. જેલના દરવાજા તોડીને બહાર આવી ગયેલા કેદીઓએ જેલ સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો અને તેમના હથિયારો પણ ઝૂંટવી લીધા હતા. પોલીસ અને કેદીઓમાં થયેલા ગોળીબારમાં એક કેદી ઘવાયો હોવાનું જેલ અધિક્ષક અરશદ હુસૈનએ ઉમેર્યું હતું. આ દરમિયાન ઘણા બંદીવાનો જેલમાંથી ભાગી છૂટયા હતા.