સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

March 08, 2025

સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. આમહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતાં.

પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચઢી ગયા હતાં. આ સિવાય રોજગાર છીનવાઈ જવાના કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિય (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન તેમને સુસાઇડ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં પરિવારને પરેશાન કરતાં અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી છે. સુસાઇડ નોટ તેમજ આસપાસના લોકો સાથે પૂછપરછ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.