સસ્પેન્ડેડ ડો.જ્યોતિ પંડ્યાએ કહ્યું, "AAP પાર્ટી સંપર્કમાં, મારૂ મન કેસરિયુ છે"

March 15, 2024

વડોદરા- ભાજપ દ્વારા લોકસભાની બીજા તબક્કાની ટીકીટ જાહેર કરતા વડોદરાના રાજકારણમાં ભડકો થઇ ગયો છે. ભાજપે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ આપી છે. જે બાદ ભાજપના સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા ખુલ્લેઆમ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાની વાત પક્ષના નેતાઓ સમક્ષ મુકતા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેઓ આજે વધુ એક વખત મીડિયા સમક્ષ આવ્યા છે. અને પોતાની વાત મુકી છે. 


ભાજપમાં 30 વર્ષ સક્રિય રહ્યા બાદ નિષ્કાસિત ડો. જ્યોતિબેન પંડ્યા જણાવે છે કે, દેશમાં લોકશાહી છે. હું રાજકીય ગતિવીધીમાં કામ કરતી વ્યક્તિએ આવી વાત કરી. ત્યારે આજે તે લોકો શહેરમાં છે તેમ મેં જાણ્યું. મારો સંપર્ક કર્યો છે. મારૂ મન કેસરિયું છે, તમને બધાને ખબર જ છે. મોદી સાહેબ મારા આદર્શ છે. દેશને તેમના વિકાસની રાજનિતી ગમે છે. ચૂંટણી જ લડવવાને લઇને મારૂ મોટુ પ્રયોજન છે તેમ નથી. પરંતુ ક્યાંક વડોદરા શહેરના હિતની વાત કરવી જોઇએ તે મારી ઇચ્છા હતી. જે મેં કરી. ત્યાર પછી વધારેને વધારે વડોદરા વાસીઓ મારી સાથે જોડાઇ રહ્યા છીએ. મેં ગુજરાતમાં કેસરી મારી સખી નામનું વોટ્સએપ ગ્રુપ કર્યું હતું. મારૂ મન કેસરિયું છે. સંપર્ક કોઇ પણ કરી શકે. હજી કંઇ પણ કહેવું જલ્દી હશે. 


આમ આદમી પાર્ટી સંપર્કમાં છે. મેં કોઇ મન બનાવ્યું નથી. ચૂંટણી લડવી કે નહિ તે અંગે વડોદરાના મિત્રો સાથે વાત કરું છું. ચૂંટણીનો વિષય દુરનો છે. મારો મત ગઇ કાલે મુક્યો. વડોદરા વિકાસ ઝંખે છે. જાગૃત છે, અને શિસ્તબદ્ધ છે. રાજકીય પક્ષોમાં કોઇ બુમ પાડીને ચાલતા પ્રવાહમાં ઉધી વાત કરે તો થઇ જાય. મોટી પાર્ટીમાં આમ કરવું પોલીટીકલ સ્યુસાઇડ છે. હું પોતે ઓફિસ બેરીયર તરીકે રહી છું. મેં મારા મનની વાત ગઇ કાલે કહી દીધી, યોગ્ય ઉમેદવારનો ટીકીટ આપવી જોઇએ. તમે મને સસ્પેન્ડ કરી દીધી છે. હું મહિલા તરીકે બધાયને સન્માન કરું છું. હું સમર્પિત કાર્યકર્તા રહી છું. જે મીનીટે મને લાગ્યું કે હવે આ મારાથી નહિ થાય ત્યારે મેં સામી છાતીએ કહ્યું.