વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડિંગ્સ લગાડતા વિવાદ : કોંગ્રેસ મહામંત્રીની ફરિયાદ

April 26, 2024

વડોદરા : વડોદરા શહેરના પ્રતાપ નગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મંદિરથી માર્કેટ ચાર રસ્તા સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રોડ શો તારીખ 27મી એ સાંજે રાખવામાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ સમગ્ર રૂટ ઉપર અમિત શાહના રોડ-શોના હોર્ડિંગ્સ લગાવવામાં આવતા કોંગ્રેસના મહામંત્રીએ ફરિયાદ કરતા તે હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી ચૂંટણી પંચના અધિકારીઓએ શરૂ કરી છે.


વડોદરા શહેરમાં આગામી તારીખ 27મીના રોજ સાંજે પ્રતાપ નગર રણમૂકતેશ્વર મંદિર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ-શો રાખવામાં આવ્યો છે. જે અંગેના હોર્ડિંગ્સ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ લગાવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી, ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ, કેન્દ્રીય ગૃહ મંત્રી ઉપરાંત વડોદરાના સ્થાનિક આગેવાનોના ફોટા લગાવી આચારસંહિતા ભંગ કર્યો હતો જે અંગે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી સાંઈ ઢેકાણેએ ચૂંટણી પંચને જાણ કરતા તેઓના હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી ચૂંટણી પંચના અધિકારીઓએ શરૂ કરી છે. આ અંગે શહેર કોંગ્રેસના મહામંત્રી સાંઈ ઢેકાણેએ જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી માંગણી કરી છે કે અગાઉ જે રીતે કોંગ્રેસ કાર્યકરોએ બેનરો લગાવ્યા હતા અને તેમાં કાર્યકરો અને શહેર પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરી તેઓની અટકાયત કરવામાં આવી હતી. તો આચાર સંહિતા ભંગ કરવામાં આવ્યો છે તો બોર્ડ લગાડનાર એજન્સી તેમજ ભાજપના આગેવાનો સામે પણ પોલીસ ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.