જાપાન અને ચીન વચ્ચે તણાવ વધ્યો! તાઈવાન મુદ્દે જાપાનીઝ PMના નિવેદન બાદ બંને દેશો સામસામે

November 18, 2025

એશિયામાં ચીન અને જાપાન વચ્ચેનો તણાવ ખૂબ જ તીવ્ર બન્યો છે. આ તણાવનું મૂળ કારણ જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીનું નિવેદન છે, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે જો ચીન તાઇવાન સામે સૈન્ય કાર્યવાહી કરે અથવા તો નાકાબંધી કરે, તો જાપાને પ્રતિક્રિયા આપવાની ફરજ પડશે. ચીને આ નિવેદનને સીધો પડકાર ગણીને અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ચીનના ઓસાકા કાઉન્સલ જનરલ શુએ જિયાનએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન તાકાઇચી વિરુદ્ધ હિંસક શબ્દો વાપર્યા. તેમણે તો ત્યાં સુધી લખ્યું કે તાકાઇચીનું 'ગંદુ માથું કાપી નાખવું જોઈએ.' જોકે આ પોસ્ટ પાછળથી હટાવી દેવામાં આવી, તેમ છતાં આ નિવેદને બંને દેશો વચ્ચેની સ્થિતિને વધુ ભડકાવી દીધી. આર્થિક પ્રતિશોધ ઉપરાંત, ચીને જાપાનને ખુલ્લી ધમકી આપી છે કે જો તે તાઇવાન સાથેના ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો તેને હારનો સામનો કરવો પડશે.
આ ધમકી બાદ, ચીને જાપાનની મુસાફરી માટે સેફ્ટી એડવાઇઝરી પણ બહાર પાડી. તેણે તેના નાગરિકોને જાપાન ન જવાની સલાહ આપી, કારણ કે ત્યાં ગંભીર સુરક્ષા જોખમો છે. આ ચેતવણીની જાપાનની અર્થવ્યવસ્થા પર ઝડપી અસર થઈ. તેના પરિણામે, પર્યટન અને રિટેલ ક્ષેત્રની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો. દર વર્ષે આશરે 75 લાખ ચીની પ્રવાસીઓ જાપાનની મુલાકાત લેતા હોવાથી, ચીનની આ ચેતવણી ટોક્યો માટે એક મોટો આર્થિક આંચકો સાબિત થઈ છે. તેમજ તણાવ માત્ર વાતચીત અને નિવેદનો સુધી જ સીમિત ન રહ્યો. ચીને વિવાદિત દીઆઓ-સેનકાકુ ટાપુઓ નજીક પોતાના ચાર હથિયારબંધ કોસ્ટ ગાર્ડ જહાજો મોકલીને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી. આ ટાપુઓ પર નિયંત્રણ જાપાનનું છે, જોકે ચીન તેને પોતાનો પ્રદેશ માને છે.