રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે

July 19, 2026

અયોધ્યા : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે અયોધ્યામાં ટ્રસ્ટીઓની એક બેઠક બોલાવી છે. આ બેઠકના એજન્ડા અનુસાર, ટ્રસ્ટીઓ SITના અંતિમ અહેવાલ પર (જો ત્યાં સુધીમાં મળી જશે તો) ચર્ચા કરશે, અને વિવિધ સમિતિઓની પુનઃરચના કરશે, તેમજ ટ્રસ્ટની અગાઉની બેઠકોની કાર્યવાહીને મંજૂરી આપશે. રામ મંદિરના ચઢાવામાં (દાનમાં) ચોરીનો મામલો સામે આવ્યા બાદ, દેશભરમાં ભારે હોબાળો થયો હતો, અને ટ્રસ્ટને લઈને સવાલો ઉભા થયા હતા. આ ઘટના બાદ યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.


અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાના દર્શન માટે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, અને અહીં દરરોજ ભારે દાન-દક્ષિણા આવે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ એ માહિતી સામે આવી હતી કે, રામ મંદિરના ચઢાવામાં ચોરી કરવામાં આવી રહી હતી. જ્યારે આ મામલાએ જોર પકડ્યું ત્યારે, એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી અને તપાસ સોંપવામાં આવી હતી. તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મંદિરમાં ચઢાવાની ચોરી કરનારા લોકો મંદિરમાં જ પોતાની સેવાઓ આપી રહ્યા હતા. આ મામલામાં ટ્રસ્ટના સભ્યો પર પણ બેદરકારીના આક્ષેપો થયા હતા, અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ રામ મંદિરના સંચાલનને સુધારવા માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા, અને ટ્રસ્ટના મહત્વના હોદ્દાઓ પર બદલાવ કરવામાં આવ્યા હતા. રામ મંદિર ટ્રસ્ટ માટે નવા સીઈઓ (CEO)ની નિમણૂક અંગે અરજીઓ મંગાવવામાં આવી છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે, ટૂંક સમયમાં જ મંદિરના સંચાલનની કમાન કોઈ વ્યક્તિને સીઈઓ બનાવીને સોંપવામાં આવશે.
જો કે, રામ મંદિરમાં ચઢાવા ચોરીનો આ મામલો હજુ પૂરી રીતે શાંત પડ્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને આ મામલાની વ્યાપક તપાસ કરવાની માંગ કરી છે.