ભારત કહે છે તેના કરતાં ઘણો મોટો હુમલો હતો, 20 નહીં 28 સ્થળે નુકસાન: પાકિસ્તાનની કબૂલાત

June 03, 2025

પહલગામ આતંકી હુમલા બાદ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર મુદ્દે અનેક વખત જૂઠ્ઠાણું ચલાવ્યું હતું. પરંતુ તેના આ જૂઠાણાંનો પર્દાફાશ તેના જ ડોઝિયરે કર્યો છે. પાકિસ્તાનના ડોઝિયરે જ જણાવી દીધું કે, ભારતે પાકિસ્તાનની અંદર સુધી જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પાકિસ્તાનમાં 20 નહીં પણ 28 સ્થળે હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનમાં હાથ ધરાયેલી જવાબી કાર્યવાહીમાં સ્થળોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ ડોઝિયરમાં તેનો ખુલાસો થયો છે કે, ભારતે પેશાવર, સિંધ, ઝાંગ, ગુજરાંવાલા, ભવાલનગર અને છોર સહિત અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું હતું.  ભારતે પાકિસ્તાની સેનાના અનેક એરબેઝ પર હુમલા કર્યા હતા. તેણે નૂર ખાન, રફીકી, મુરીદકે, સુકરૂર, સિયાલકોટ, પસરુર, ચુનિયાન, અને સરગોધા સહિત કુલ 11 એરબેઝ પર હુમલા કર્યા હતા. મેક્સાર ટૅક્નોલૉજીસે પણ હુમલાથી થયેલા નુકસાનની સેટેલાઇટ ઇમેજ રજૂ કરી હતી. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન વિશ્વભરમાં ઓપરેશન સિંદૂર વિશે જૂઠ્ઠાણુ ચલાવી રહ્યુ છે. પરંતુ પાકિસ્તાની ડોઝિયરમાં આપવામાં આવેલા મેપએ તેનો પર્દાફાશ કર્યો છે. ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યા છે. પાકિસ્તાન અને POKમાં ભારતે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ સેન્ટર સહિત નવ સ્થળો પર હુમલા કર્યા હતા. 7 મેના રોજ હુમલો કરવામાં આવેલા અન્ય સ્થળોમાં મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલકોટ, ચકસ્વરી, ભીમબર, નીલમ ખીણ, ઝેલમ અને ચકવાલ સામેલ છે. ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને ટાર્ગેટ કર્યા હતા.