મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ

September 12, 2025

મુન્દ્રા: કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ પાસે નર્મદા કેનાલમાં માતા અને ત્રણ બાળકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે માતાનો બચાવ થયો છે.  મળતી માહિતી મુજબ, મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ નજીક આવેલી કેનાલમાં આજે (12 સપ્ટેમ્બર) બપોરે 3 વાગ્યાની આસપાસ માતા અને ત્રણ બાળકો કેનાલમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકતંત્ર દોડતું થયું હતું અને ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
જોકે, આ દુર્ઘટનામાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.12), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.8) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.5) ત્રણેય સગા ભાઈઓના મોત નીપજ્યા હતા.