વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી

September 18, 2025

રાહુલ ગાંધીએ આજે વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં વધુ સચોટ પુરાવા સાથે દાવો કર્યો હતો કે, દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઈજેક કરી વોટ ડિલિટ કરી છે, નવા વોટ ઉમેરી રહી છે. દેશની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ 'વોટર અધિકાર યાત્રા' પૂર્ણ કર્યા બાદ વધુ સચોટ પુરાવા અને ઉદાહરણો સાથે દેશના વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશનર જ છાવરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે,  'વોટ ચોરી' મુદ્દે ટૂંક સમયમાં જ 'હાઈડ્રોજન બોમ્બ' રજૂ કરશે. 

મારૂ કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની રક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટીટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું.  મારૂ કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.

મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઈન વોટ ઉમેરવામાં આવ્યા. કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી. જેમાં જેની જરૂર હતી તે સિવાય અન્ય તમામ વિગતો સીઆઈડીને આપી. સીઆઈડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડર પત્રો લખ્યાં. ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહ્યા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઈડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપો. 

રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર લોકોને વોટ ચોરોને બચાવી રહ્યા છે. મારા આ દાવાના પુરાવા છે જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે. 

કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 6018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બીએલઓએ જોયું કે તેમના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે આ એક પાડોશીના નંબર પરથી થયું છે. જ્યારે તેમણે પાડોશી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર પણ નથી કે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યું.