જેના કારણે યુદ્ધ શરુ થયું તે રિપોર્ટથી IAEAનો યુટર્ન, ઈરાને કહ્યું- હવે બહુ મોડું થઈ ગયું

June 20, 2025

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લાં આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જે હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ઇઝરાયલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ બંને દેશ એકબીજાને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છે. પરંતુ, હવે જે વાત સામે આવી રહી છે, તે ખૂબ ચોંકાવનારી છે. IAEA(ઇન્ટરનેશનલ એટૉમિક એનર્જી એજન્સી)ના ચીફ રાફેલ ગ્રોસીએ પોતાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. તેમનો દાવો હતો કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને હવે કહી રહ્યા છે કે, આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા. 
IAEAના ચીફ રાફેલ ગ્રોસીએ પલટી મારતાં કહ્યું કે, 'એવો કોઈ પુરાવો નથી કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે.' નોંધનીય છે કે, IAEAના રિપોર્ટ અને ગ્રોસીના નિવેદન બાદ જ ઇઝરાયલે હુમલા શરુ કર્યા હતા. ઈરાને વળતો જવાબ આપતાં ઇઝરાયલમાં અનેક જગ્યાએ મિસાઇલથી હુમલો કર્યો હતો. તેણે ગુરુવારે હૉસ્પિટલને પણ નિશાનો બનાવી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 


ગ્રોસીએ કહ્યું કે, 'સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થઈ ગયું કે, જ્યાં-જ્યાં પરમાણુ પ્લાન્ટ પર ઇઝરાયલ હુમલો કરી રહ્યું છે, ત્યાં રેડિએશનના કોઈ પુરાવા નથી મળી રહ્યા.' દાવો કરવામાં આવ્યો હતો કે, ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધમાં અમેરિકા પણ વચ્ચે કૂદી શકે છે. અમેરિકા ઇઝરાયલ સાથે છે અને તે ઈરાનને અનેકવાર ચેતવણી પણ આપી ચૂક્યું છે. 


ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈરાને કહ્યું કે, IAEAના આ નિવેદનમાં બહુ મોડું થઈ ચૂક્યું છે. કારણ કે, યુદ્ધ હવે શરુ થઈ ચૂક્યું છે. ઈરાનનો આરોપ છે કે, IAEAના ખોટા રિપોર્ટના કારણે જ ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે.