'મહિલાઓને એક હત્યાની છૂટ હોવી જોઈએ', શરદ પવારની પાર્ટીના મહિલા નેતાનો રાષ્ટ્રપતિને પત્ર

March 09, 2025

દિલ્હી  : એનસીપી (શરદ પવાર જૂથ)ની મહિલા શાખાના અધ્યક્ષ રોહિણી ખડસેએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પત્ર લખ્યો છે. જેમાં તેમણે માંગ કરી છે કે મહિલાઓને તેમના પર થતાં અત્યાચાર વિરુદ્ધ લડવા માટે એક હત્યાની છૂટ આપવી જોઈએ. નોંધનીય છે કે શરદ પવારની પાર્ટીની મહિલા શાખાના અધ્યક્ષ રોહિણી ખડસેએ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે પર આ પત્ર રાષ્ટ્રપતિને લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મહિલાઓ પર દમનકારી માનસિકતા, દુષ્કર્મ વાળી માનસિકતા અને નિષ્ક્રીય કાયદો વ્યવસ્થાની પ્રવૃત્તિને ખતમ કરવા ઈચ્છે છે.


આ પત્ર મુંબઈમાં 12 વર્ષની સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના સંદર્ભમાં લખ્યો છે. તેમની માંગ છે કે ભારતમાં મહિલાઓ વિરુદ્ધ ગુના વધી રહ્યા છે તેથી આત્મરક્ષા માટે એક હત્યાની અનુમતિ આપવી જોઈએ. ખડસેએ પત્રમાં લખ્યું છે કે, 'અમે તમામ મહિલાઓ તરફથી એક હત્યાની છૂટની માગ કરી રહ્યા છીએ.' આ પત્રનો ઉદ્દેશ્ય રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કરવાનો છે. તેમણે એક સર્વે રિપોર્ટનો પણ હવાલો આપ્યો છે, જેમાં જણાવાયું છે કે, ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ છે, કારણ કે મહિલાઓ વિરૂદ્ધ અપહરણ અને ઘરેલૂ હિંસા સહિતના અનેક ગુના થઈ રહ્યા છે.

ખડસેએ કહ્યું કે, 'અમને આશા છે કે, અમારી માગ પર ગંભીરતાથી વિચાર કર્યા બાદ તેનો સ્વીકાર કરી લેવાશે. બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી ગુલાબરાવ પાટિલે શનિવારે સલાહ આપી કે, મહિલાઓએ પોતાના પર્સમાં લિપસ્ટિકની સાથે મરચાંનો પાઉડર અને રામપુરી છરી પણ રાખવી જોઈએ.'