પૂર્વોત્તરના રાજ્યોમાં કુદરતનો કહેર, પૂર અને ભૂસ્ખલનમાં 34નાં મોત

June 02, 2025

આસામ અને પૂર્વોત્તર રાજ્યો પર કુદરત જાણે તે વિફરી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. કુદરતના કહેર સામે માનવી સાવ વામણો લાગી રહ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. અત્યાર સુધીમાં આ કુદરતી આફતમાં 34 લોકોનાં મોત થઇ ચુક્યા છે. 19 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. સિક્કિમમાં 1200 યાત્રીઓ ફસાયા છે. ભૂસ્ખલનના કારણે આ પ્રવાસીઓ હજૂ પણ ફસાયેલા છે અને બહાર નીકળી શક્યા નથી.

તીસ્તા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શી ગયુ છે. નદીમાં ભારે પ્રવાહને કારણે મંગનનો ચંગથાંગને જોડતો બ્રીજ આંશિક રીતે તૂટી પડ્યો છે અને જર્જરીત થઇ ગયો છે. હવે અત્યારે આ પૂલનું સમારકામ ચાલી રહ્યુ છે જેથી મોટી આફતને ટાળી શકાય. પૂર્વોત્તરમાં સૌથી વધારે કુદરતી આફતનો સામનો કરી રહ્યુ છે આસામ રાજ્ય. અહી વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. 

રાજ્યમાં લગભગ 3,60,000 લોકો પ્રભાવિત થયા છે અને 22 લોકો મોતને ભેટ્યા છે. આસામના 19 જિલ્લામાં 764 ગામમાં પૂરનો પ્રકોપ છે. હાલમાં આસામ રાઇફલ્સ સહિત સેનાની અલગ અલગ ટુકડીઓ દીવસ રાત રાહત કાર્યમાં લાગેલી છે. 7000 લોતોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે.