ખ્યાતિ હૉસ્પિટલ કાંડના 88 દિવસ બાદ કોર્ટમાં 5670 પાનાની ચાર્જશીટ રજૂ

February 07, 2025

અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડના આઠ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરાઈ છે. ખ્યાતિ હૉસ્પિટલમાં દર્દીઓના મોત મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ. ક્રાઇમબ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5,670 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. 


અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે 10 નવેમ્બર 2024ના રોજ કેમ્પ યોજાયો હતો. જેમાં 20 જેટલા દર્દીઓને સારવારની જરૂર હોવાનું કહી અમદાવાદ ખાતે ખ્યાતિ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. PMJAY યોજનામાંથી પૈસા પાસ કરાવવા દર્દી કે દર્દીના પરિવારની જાણ બહાર 19 દર્દીઓને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. જ્યારે 19 દર્દીઓમાંથી સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ હતી. જે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી, તેમાંથી બે દર્દીના મોત થયા છે. એન્જિયોપ્લાસ્ટીના અન્ય 5 દર્દીઓને ICUમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે હવે આ કેસમાં 88 દિવસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખ્યાતિ હૉસ્પિટલમાં બે દર્દીઓની ખોટી સર્જરી કરીને મૃત્યુ નીપજવા મામલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ સરકારે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.