કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની જમીન વિવાદમાં હત્યા

December 28, 2025

છોટાઉદેપુર :  કદવાલ તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરા ગત રોજ ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ, તેની હત્યા કરાયેલી લાશ ઘરની બાજુમાં આવેલા ખેતરમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શરૂઆતમાં આ હત્યા શા માટે અને કોણે કરી તે અંગે મોટું સસ્પેન્સ સર્જાયું હતું.
ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક કડીઓને આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ હત્યા કોઈ અજાણ્યા શખ્સે નહીં પરંતુ પારિવારિક અદાવતમાં કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, પારિવારિક જમીનના જૂના વિવાદ અને ઝગડાનો બદલો લેવા માટે આ ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જિલ્લા એલસીબીએ આ મામલે પ્રકાશ રાઠવા નામના શખસની ધરપકડ કરી છે. આરોપીએ પોતાની જ પરિવારની સગીરાને જમીન વિવાદમાં મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે.