સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ નહીં, લોકાર્પણ અટક્યું

June 03, 2026

રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. મેયર સહિતના પદાધિકારીઓએ નવનિર્મિત બ્રિજની મુલાકાત દરમિયાન મુખ્ય જોઇન્ટમાં લેવલ ન હોવાનું તેમજ ફિનિશિંગ કામમાં ક્ષતિ હોવાનું નિરીક્ષણ કર્યું હતું. સૌથી ગંભીર બાબત એ છે કે બ્રિજમાં વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ નાખવામાં આવી નથી. આથી તંત્રએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવાનો આદેશ આપ્યો છે. 

ટૂંક સમયમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ ખામી સામે આવતાં તે અટવાઈ ગયું છે. રાજકોટમાં સાંઢિયા બ્રિજની કામગીરીમાં અનેક ખામીઓ જોવા મળી છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ વચ્ચે બ્રિજમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં મોટી ચૂક સામે આવી છે. ઉપરાંત બ્રિજની નીચે પાર્કિંગ કે અન્ય કોઈ આયોજન કરવામાં આવે તો પણ વરસાદી પાણી પડવાની સમસ્યા સર્જાઈ શકે છે. 

બ્રિજમાં પાણીના નિકાલ માટે જરૂરી પાઇપ પણ નાખવામાં આવ્યા નથી. જેના કારણે બ્રિજના નિર્માણ કાર્યને લઈને અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ, તંત્ર દ્વારા અગાઉ કરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન આ ખામીઓ કેમ ધ્યાનમાં આવી નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ બ્રિજમાં ખામી જણાતાં લોકાર્પણમાં વિલંબ થવાની શક્યતા છે. તંત્ર દ્વારા ખામીઓ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ જ બ્રિજના લોકાર્પણ અંગે નિર્ણય લેવામાં આવશે.