કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ

May 10, 2026

તાજેતરમાં 'સેલ' (Cell) જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ ચામાચીડિયામાં એક એવો નવો કોરોનાવાયરસ શોધી કાઢ્યો છે, જે માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ શોધે વિશ્વભરના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આ વાયરસ અન્ય કોરોનાવાયરસની જેમ જ માનવ કોષો સાથે જોડાવવાની ક્ષમતા ધરાવતો હોવાનું જણાય છે. જોકે, સંશોધકોનું કહેવું છે કે, આ વાયરસ હાલમાં લોકોમાં ફેલાઈ રહ્યો હોય તેવા કોઈ પુરાવા નથી, પરંતુ ભવિષ્યના જોખમોને સમજવા માટે પ્રાણીઓમાં વાયરસની દેખરેખ રાખવી કેટલી મહત્વની છે તે આ બાબત સ્પષ્ટ કરે છે.
યુનિવર્સિટી ઓફ ટોક્યો સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં થાઈલેન્ડમાં ચામાચીડિયામાં ફરતા કોરોનાવાયરસના એક જૂથની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી એક નવો વાયરસ એવા લક્ષણો ધરાવે છે. જે સૂચવે છે કે, તે ચોક્કસ પરિસ્થિતિઓમાં માનવ કોષોને સંક્રમિત કરી શકે છે. આ વાયરસ કોવિડ-19 ફેલાવનારા વાયરસના તે જ વિશાળ પરિવારનો છે, જેને 'સાર્બેકોવાયરસ' તરીકે ઓળખવામાં આવે છે.


પ્રાણીઓમાં જોવા મળતા તમામ વાયરસ આપમેળે માણસોને સંક્રમિત કરતા નથી. જોકે, વૈજ્ઞાનિકો એવા વાયરસ પર નજીકથી નજર રાખે છે. જે માનવ કોષોના રીસેપ્ટર્સ સાથે સંપર્ક કરવાની ક્ષમતા ધરાવે છે. આ કિસ્સામાં, સંશોધકોએ જોયું કે, વાયરસ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકે છે. આ એ જ પ્રોટીન છે જેનો ઉપયોગ SARS-CoV-2 (કોવિડ-19 વાયરસ) માનવ શરીરમાં પ્રવેશવા માટે કરે છે. આનો અર્થ એ નથી કે, કોઈ નવી રોગચાળો નજીક છે, પરંતુ તે પ્રાણીઓમાંથી માણસોમાં રોગ ફેલાવવાની ક્ષમતા (Zoonotic Potential) તરફ ઈશારો કરે છે.