છત્તીસગઢમાં ભયંકર અકસ્માત, ટ્રકે એસયુવીને ફંગોળી નાખી, ફેમિલી ફંક્શનથી આવતા 6 લોકોનાં મોત

December 16, 2024

છત્તીસગઢના બાલોદ જિલ્લાથી ભીષણ માર્ગ દુર્ઘટનાના સમાચાર છે. એક ટ્રકે વિપરીત દિશાથી આવી રહેલી એસયુવીને ટક્કર મારી દીધી, જેના કારણે 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે 7 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. પોલીસે આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દુર્ઘટના રવિવારે મોડી રાત્રે ડોંડી વિસ્તારમાં થઈ જ્યારે જિલ્લાના ગુંડરદેહી વિસ્તારના રહેવાસી એક પારિવારિક સમારોહથી પાછા ફરી રહ્યાં હતા. 

એક પોલીસ અધિકારીએ કહ્યું, 'વાહનની ટ્રકથી સામ-સામે ટક્કર થઈ ગઈ. એસયુવીમાં સવાર 13 લોકોમાંથી છ ના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે સાત અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.'

મૃતકોની ઓળખ દુરપત પ્રજાપતિ જેની ઉંમર 30 વર્ષ, સુમિત્રા બાઈ કુંભકાર (50), મનીષા કુંભકાર (35), સગુન બાઈ કુંભકાર (50), ઈમલા બાઈ (55) અને જિગ્નેશ કુંભકાર (7) તરીકે કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે પાંચ મહિલાઓ અને એક બાળક સહિત ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા, જ્યાંથી તેમને આગળની દવા માટે રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલ રેફર કરી દેવાયા. તેમણે જણાવ્યું કે દુર્ઘટનાવશ મોતનો રિપોર્ટ નોંધી લેવાયો છે અને આગળની તપાસ ચાલુ છે.