રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે

November 27, 2025

અમદાવાદ  : ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે, જેના કારણે છેલ્લા થોડા દિવસોથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આ રાહત કામચલાઉ છે અને આગામી સોમવારથી રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ શક્યતા છે.

બુધવારે અમદાવાદ શહેરનું તાપમાન સ્થિર રહ્યું હતું, પરંતુ પર્યાવરણીય ફેરફારો સ્પષ્ટ જોવા મળ્યા હતા. સવારના સમયે આકાશમાં વાદળો છવાયેલા હતા અને શહેરમાં ધુંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાનની ભાષામાં આ સ્થિતિને ‘સ્મોગ’ (Smog) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદૂષણયુક્ત ધુમ્મસને કારણે સવારના તાપમાનમાં પણ સામાન્ય વધારો નોંધાયો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. ખાસ કરીને રાજકોટ, દ્વારકા, પોરબંદર, દીવ, સુરેન્દ્રનગર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર અસર પડી હતી. હાલ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો રહેતા ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ફરી તાપમાન નીચે ઉતરશે અને ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળશે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. એટલે કે સોમવારથી ફરી ઠંડીનું જોર વધશે. 

બુધવારે નોંધાયેલું લઘુત્તમ તાપમાન

નલિયા: 12 સેલ્સિયસ (સૌથી ઓછું)

જૂનાગઢ & જામનગર: 14 સેલ્સિયસ

રાજકોટ, ભુજ, કેશોદ: 15 સેલ્સિયસ

ગાંધીનગર, ડીસા, કંડલા, પોરબંદર: 16 સેલ્સિયસ

દીવ: 17 સેલ્સિયસ

અમદાવાદ, સુરેન્દ્રનગર, મહુવા: 18 સેલ્સિયસ

વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા: 20સેલ્સિયસની આસપાસ

દક્ષિણ ભારતમાં એલર્ટ 

આ દરમિયાન ભારતના આંદામાન-નિકોબાર ટાપુઓથી 600થી 750 કિ.મી. દૂર ઇન્ડોનેશિયા પાસે દરિયામાં એક વાવાઝોડું સર્જાયું છે, જેનું નામ ‘સેનયાર’ રાખવામાં આવ્યું છે. આ સિસ્ટમના કારણે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં લો-પ્રેશર વધુ શક્તિશાળી બન્યું છે.