પેપર લીક બાદ હવે ઈથેનોલ મુદ્દે આક્રોશ! 5 જ દિવસમાં ત્રણ મોટા આંદોલનનું એલાન

July 28, 2026

ભારતમાં એક સમયે પેટ્રોલના ભાવને લઈને રાજકારણ અને વિરોધ પ્રદર્શનો થતા હતા, પરંતુ હવે લડાઈ પેટ્રોલની અંદર શું ભેળવવામાં આવી રહ્યું છે તેના પર શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર E20 ફ્યુઅલને ભવિષ્ય ગણાવી રહી છે, જ્યારે વિરોધ કરનારા લોકો પહેલા વિકલ્પ આપવાની માંગ કરી રહ્યા છે. નેતાઓ, ટ્રાન્સપોર્ટ યુનિયનો, સોશિયલ મીડિયા કેમ્પેઈનર્સ અને સામાન્ય વાહન માલિકો વચ્ચે E20 મુદ્દે ભારે ચર્ચા જાગી છે. આ મુદ્દો હવે પેટ્રોલ પંપ અને સોશિયલ મીડિયાથી આગળ વધીને દિલ્હી અને સંસદ સુધી પહોંચવા જઈ રહ્યો છે.

સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગપતિ તહસીન પૂનાવાલાએ 31 જુલાઈના રોજ ઇન્ડિયા ગેટથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી 'ગાડી માર્ચ' કાઢવાની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કોર્ટમાં એવું કહ્યું છે કે તેમનો ઇથેનોલ પોલિસી સાથે સીધો સંબંધ નથી. આ સિવાય પૂનાવાલાએ ગડકરીના એક જૂના વીડિયોનો હવાલો પણ આપ્યો હતો જેમાં તેઓ 15 રૂપિયે લીટર પેટ્રોલ મળવાની વાત કરી રહ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેમણે લોકોને માર્ચમાં જોડાવા અપીલ કરી છે.

બીજી તરફ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ E20 મુદ્દે લોકોને એકજૂથ થવા અપીલ કરી છે. તેમણે 1 ઓગસ્ટ, 2026ના રોજ દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબ ખાતે 'નેશનલ ટાઉનહોલ અગેન્સ્ટ E20' આયોજિત કરવાની જાહેરાત કરી છે, જેમાં લોકો ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાઈ શકશે. આ ઉપરાંત, દિલ્હીની ટેક્સી અને ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને 4 ઓગસ્ટના રોજ સંસદ સુધી માર્ચ કાઢવાનું એલાન કર્યું છે.

સોશિયલ મીડિયા પર 'E20 જનતા પાર્ટી' નામે એક ડિજિટલ કેમ્પેઈન પણ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. આ સ્વતંત્ર નાગરિક અભિયાનનો મુખ્ય હેતુ વાહન માલિકોને 100% શુદ્ધ પેટ્રોલ (અથવા E5, E10) પસંદ કરવાનો વિકલ્પ અપાવવાનો છે. ઈન્સ્ટાગ્રામ પર 4.62 લાખ અને X (ટ્વિટર) પર 55 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ ગ્રુપ દ્વારા ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પોલિસી સામે મીમ્સ, વ્યંગ અને જાગરૂકતા પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઇથેનોલના ઉપયોગથી ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટશે, ખેડૂતોને આર્થિક લાભ થશે અને પર્યાવરણને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પડકાર ફેંક્યો હતો કે જો E20 પેટ્રોલના કારણે એક પણ વાહનમાં ટેકનિકલ ખામી આવી હોય તો તેનું નામ જણાવો. જોકે, બીજી તરફ સ્થાનિક સર્વે અનુસાર 53% લોકો E20 લાગુ કરવાની પદ્ધતિથી નારાજ છે, 66% લોકોએ માઇલેજ ઘટવાની ફરિયાદ કરી છે અને 45% લોકોનું માનવું છે કે વાહનોનું મેન્ટેનન્સ ખર્ચ વધી ગયું છે.