અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

May 14, 2026

 રાજકોટ-ચોટીલા હાઈવે પરથી એક રૂંવાડા ઊભા કરી દેતા અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. અહીં સાંગાણી ગામ નજીક મોડી રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાગી બસ અને ટેન્કર વચ્ચે એવી પ્રચંડ ટક્કર થઇ હતી કે અકસ્માત બાદ આખી બસ જાણે ફાયરબોલ બની ગઇ હતી. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકો જીવતા બળી ગયા હતા જેમના મૃતદેહોની ઓળખ કરવી પણ હવે મુશ્કેલ થઇ ગઇ છે. જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. આ બસ અમદાવાદથી રાજકોટ તરફ જતી હોવાની માહિતી સામે આવી છે. 

માહિતી અનુસાર આ અકસ્માત રાતે દોઢથી બે વાગ્યાના સુમારે સર્જાયો હતો. જેમાં ટેન્કરમાં ડામર ભરેલું હતું. આ ટેન્કરનું ટાયર ફાટતાં તે બેકાબૂ થઇ થયો હતો. જોકે આ સમયે જ પાછળથી આવતી બસ તેની સાથે અથડાતાં પ્રચંડ ધડાકો થયો હતો અને આખી બસ આગમાં લપટાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ પણ મનાય છે. જોકે મુસાફરોને બસમાંથી બહાર નીકળવાની તક મળે એ પહેલા જ હોનારત સર્જાઈ ગઇ હતી. લગભગ ચાર લોકો જીવતા જ બળી ગયા હતા. જોકે બાકીના 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય મુસાફરો સુરક્ષિત બહાર આવવામાં સફળ રહ્યા હતા.