રામનવમી પર ભવ્ય રામમંદિરમાં પ્રથમ જન્મોત્સવની ઉજવણી, સૂર્યકિરણથી ઝળહળ્યું રામલલાનું લલાટ

April 17, 2024

આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી ભક્તોની ભીડ અયોધ્યા રામલલાના દર્શન કરવા ઉમટી છે.

આજે રામ નવમીના દિવસે અયોધ્યાના મંદિરમાં રામલલાના અભિષેક બાદ તેમને પ્રથમ સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. બપોરે 12.01 વાગ્યે, વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ટેકનિકનો ઉપયોગ કરીને રામલલાના કપાળ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સૂર્યનું પ્રથમ કિરણ રામલલાના મસ્તક પર પહોંચતા જ મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન રામની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી હતી અને શુભ ભજનો ગાવામાં આવ્યા હતા.

આજે રામ મંદિરમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આસ્થા અને વિજ્ઞાનના સંગમ સાથે રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામને સૂર્ય તિલક કરાયો છે. આજે આ શુભ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામલલાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે, જે પીળા પીળા રંગનો છે. આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામનવમી નિમિત્તે રામ મંદિરના દ્વાર સવારે 3.30 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા અને કહેવાય છે કે રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે. 

ભક્તોને સુગમતાથી દર્શન થઈ શકે તેના માટે ચાર દિવસ વીઆઈપી દર્શન પાસ, મંગલા આરતી પાસ, શૃંગાર આરતી પાસ તેમજ શયન આરતી પાસની પદ્ધતિ બંધ રખાઈ છે. સુગરિવના કિલ્લાની નીચે, બિડલા ધર્મશાળાની સામે શ્રી રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા છે, જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ દિવસે રામ મંદિરમાં થનાર તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ લગભગ સો જેટલા એલઈડી સ્ક્રીન પર દેખાડવામાં આવી રહ્યું છે.